
આજે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક સરકારી રિપોર્ટની પોલ ખોલતા જણાવ્યું હતું કે, આજે સરકારે “ભરમાવો ભટકાવો” અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ગુજરાતમાં 11,684 દૂધના સેમ્પલ લેવામાં આવ્યા અને એક પણ સેમ્પલનું દૂધ હાનિકારક નીકળ્યું નથી. અહીંયા હકીકતમાં શબ્દોની માયાજાળ રચવામાં આવી છે. જે રિપોર્ટ કરવામાં આવ્યા એમાં મોટાભાગનું દૂધ જોવા જઈએ તો એ પીવાલાયક નથી (અખાદ્ય છે) પરંતુ કહેવામાં આવે છે કે આ દૂધમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહોતું તો હકીકતમાં આ શબ્દોની માયાજાળ છે, પહેલા કહેવામાં આવે છે કે દૂધ સબ સ્ટાન્ડર્ડ છે અને પછી કહ્યું કે આમાં કોઈ કેમિકલ નથી. હમણાં થોડા દિવસ પહેલા પ્રાંતિજ ખાતે જે રેડ પડી અને ગીર સોમનાથ ખાતે જે રેડ પડી ત્યાં કેમિકલ મળ્યું, યુરીયા મળ્યું અને બીજા અખાદ્ય પદાર્થો પણ મળ્યા, જેને મિક્સ કરીને દૂધ બનાવવામાં આવતું હતું. છતાં પણ ગુજરાત સરકાર માનવા તૈયાર નથી કે દૂધમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે એટલે ક્યાંકને ક્યાંક છટકબારીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ બોટાદમાં જે દારૂનો કાંડ થયો હતો ત્યારે સરકારે કહ્યું હતું કે આ દારૂ નથી પરંતુ આ તો કેમિકલ છે, તો ત્યારે પણ શબ્દોની માયાજાળ રચવામાં આવી હતી અને એ કાંડને કેમિકલ કાંડ કહેવામાં આવ્યો અને “કેમિકલ પીવડાવીને મારી નાખવામાં આવ્યા” એ પ્રકારના સ્ટેટમેન્ટ સરકાર દ્વારા આપવામાં આવ્યા. અત્યારે પણ ગુજરાત સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. અમારી સરકારને અપીલ છે કે આ “ભરમાવો ભટકવો”ની રાજનીતિ બંધ કરવામાં આવે અને વાસ્તવિકતા સ્વીકારવામાં આવે. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડાં થઈ રહ્યા છે, તે બંધ થાય. જે પણ લોકો દૂધને અખાદ્ય બનાવી રહ્યા છે અને દૂધમાં કેમિકલ નાખી રહ્યા છે એ લોકો માટે કડકમાં કડક સજાની જોગવાઈ કરો અને એક મોટો દાખલો બેસે એ રીતની એમના પર કાર્યવાહી કરવામાં આવે. સરકાર હાલ જે સ્ટેટમેન્ટ આપી રહી છે એનાથી દૂધના માફિયાઓને છૂટો દોર મળશે, ગુજરાત રાજ્યના લોકોના આરોગ્ય સાથે થઈ રહેલ ચેડાંમાં પણ હવે તમે ભાગીદાર થઈ રહ્યા છો એટલે તમે ભાગબટાઈનો હવે હિસ્સો ન બનો એવી અપીલ છે.




