
મુંબઈ અને નાસિકમાં ભૂકંપ વહેલી સવારે ધરતી ધ્રુજતા ડરના માર્યા ઘરોમાંથી બહાર દોડ્યા લોકો નાસિક જિલ્લામાં અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ ની નોંધવામાં આવી મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ કુદરતી આપત્તિને કારણે સવાર-સવારમાં જ લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર સુરક્ષિત સ્થળો તરફ દોડી આવ્યા હતા. સદનસીબે આ અચાનક આવેલા ભૂકંપના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટી સંપત્તિના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, જેનાથી વહીવટી તંત્ર અને સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.હવામાન વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નાસિક જિલ્લામાં અનુભવાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ ની નોંધવામાં આવી છે. આ ધરતીકંપનો મુખ્ય પ્રભાવ ખાસ કરીને સુરગાણા તાલુકાના આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ જાેવા મળ્યો હતો, જ્યાં લોકોએ અચાનક ધરતી ધ્રૂજતી અનુભવી હતી. સામાન્ય તીવ્રતા હોવા છતાં વહેલી સવારના શાંત વાતાવરણમાં આંચકો અનુભવાતાની સાથે જ સ્થાનિક નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ક્ષણભરમાં અફરાતફરી જેવું વાતાવરણ સર્જાયું હતું.આ ભયાનક આંચકાનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર ૩ કિલોમીટર જેટલા છીછરા ઊંડાણમાં હોવાનું નિષ્ણાતો દ્વારા જાણવા મળ્યું છે, જેના કારણે તેનું કેન્દ્ર જમીનની સપાટીની તદ્દન નજીક હોવાથી આંચકાની અસર વધારે તીવ્રતાથી અનુભવાઈ હતી. પ્રશાસન અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા હાલમાં સમગ્ર વિસ્તારમાં સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ નુકસાન થયું છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ પણ કરી છે.




