
અમેરિકાના પ્રતિનિધિ તો હજુ પહોંચ્યા નથી ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા અગાઉ ઈરાને ટેન્શન વધાર્યું ઈરાની બંદરો પર અમેરિકન નૌકાદળની નાકાબંધી હજુ પણ જારી છે, જેનો ઉપયોગ વાટાઘાટોમાં દબાણ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સીઝફાયર વચ્ચે ઈરાન અને અમેરિકા ફરી એકવાર ટેબલ ટોક (વાતચીત) માટે તૈયાર થયા હોવાના અહેવાલ હતા. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત પાકિસ્તાની વિદેશ મંત્રી ઈશાક ડાર અને આર્મી ચીફ આસિમ મુનીરે કર્યું હતું. જાેકે અબ્બાસ અરાઘચીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે અમે પાકિસ્તાન દ્વિપક્ષીય મંત્રણા કરવા આવ્યા છીએ અમેરિકા સાથે શાંતિ મંત્રણા કરવા માટે નહીં. એટલે કે એ સ્પષ્ટ છે કે હજુ સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા થશે કે નહીં તે અંગે સસ્પેન્સ ઘેરાયેલું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરેડ કુશનરને ઈસ્લામાબાદ મોકલ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આ વખતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ નહીં આવે. બીજી બાજુ અમેરિકાના પ્રતિનિધિઓ શનિવારે સવારે પાકિસ્તાન પહોંચીને અબ્બાસ અરાઘચી સાથે બીજા રાઉન્ડની વાતચીતમાં ભાગ લેશે તેવો દાવો કરાયો છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હાલમાં પાકિસ્તાન જશે નહીં, કારણ કે તેમના ઈરાની સમકક્ષ મોહમ્મદ બાઘેર ગલિબાફ આ પ્રવાસમાં સામેલ નથી. જાે વાતચીતમાં કોઈ મોટી પ્રગતિ જણાશે તો વેન્સ તાત્કાલિક પાકિસ્તાન પહોંચી શકે છે.ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન એક પ્રસ્તાવ રજૂ કરી શકે છે. અમેરિકાની મુખ્ય માંગણીઓમાં ઈરાન તેના યુરેનિયમ ભંડારનો ત્યાગ કરે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલનો પુરવઠો કોઈપણ અડચણ વગર ચાલુ રહે તે સામેલ છે.અહેવાલો અનુસાર, ઈરાની નેતૃત્વમાં મતભેદો વધી રહ્યા છે, જેના કારણે ગલિબાફ આ વાટાઘાટોથી દૂર રહ્યા હોવાનું મનાય છે.પાકિસ્તાન આ સમગ્ર વિવાદમાં મધ્યસ્થીતરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના જણાવ્યા અનુસાર, ઈરાન પોતે વાતચીત કરવા ઈચ્છે છે, જે એક હકારાત્મક સંકેત છે.વાતચીત ચાલુ હોવા છતાં, અમેરિકાએ ઈરાન પરથી આર્થિક દબાણ હટાવ્યું નથી. ઈરાની બંદરો પર અમેરિકન નૌકાદળની નાકાબંધી હજુ પણ જારી છે, જેનો ઉપયોગ વાટાઘાટોમાં દબાણ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.



