
સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં! એઆઈ ને કારણે ભારતમાં ૬૦ લાખ કોડર્સ નોકરી ગુમાવશે ભારત સરકારે કોઈપણ વિદેશી એઆઈ કંપનીને ભારતમાં તેનું સેન્ટર સ્થાપવા ૨૦ વર્ષના ટેક્સ હોલિડે આપ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે ભારતના ૬૦ લાખ કોડરોનું અસ્તિત્વ જ ભયમાં મૂકાયું છે. સરકારે એકબાજુએ એઆઈ કંપનીઓ માટે લાલ જાજમ બિછાવી રહી છે અને તેમની ફેક્ટરીઓ સ્થાપવા માટે વિદેશી કંપનીને ૨૦-૨૦ વર્ષના ટેક્સ હોલિડે આપી રહી છે. તેની સામે કામ વગરના થઈ જનારા આ ૬૦ લાખ કોડરોને લઈને મગનું નામ મરી પાડયું નથી. ઓટોમેશનમાં જબરદસ્ત વધારો થતાં તેને લગતી કામગીરીનો પણ વિસ્ફોટ થશે. તેના માટેના ૬૦ લાખ કોડર જેટલા મોટા વર્કફોર્સને કંઇ રાતોરાત રીસ્કિલ નહીં કરી શકાય. સરકારે એઆઈ કંપનીઓ માટે લાલજાજમ બિછાવવાની સાથે-સાથે આ કોડરોના રિસ્કિલ સહિતનો કોઈ બેક-અપ પ્લાન તૈયાર કર્યાે છે કે નહીં તે મોટો સવાલ ઉદભવે છે.
એઆઈએ ફક્ત કોડિંગ જ શું કામ ભારતના ૨૦૦ અબજ ડોલરની નિકાસ કરતાં મહાકાય સોફ્ટવેર સર્વિસિઝ માટે પણ મોટો ખતરો સર્જયો છે. આ કંપનીઓને હવે તાત્કાલિક ધોરણે તેમની નવી ભરતી અટકાવવાની કે ધીમી કરી દેવાની તથા વર્તમાન વર્કફોર્સને રિસ્કિલ કરવાની જરૂર પડી છે. તેમા ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓએ તો એઆઈ સાથે તાદાત્મ્ય સાધી લીધું છે, પરંતુ બીજી આઇટી કંપનીઓને એઆઈ સાથે એડજસ્ટ થવામાં ફાંફા પડી રહ્યા છે તે મોટી હકીકત છે.વાસ્તવમાં તો ભારત સરકારે એઆઈના કારણે સોફ્ટવેર ઉદ્યોગની અસરોથી લઈને પડકારો અને તેને તકમાં કઈ રીતે પરિવર્તીત કરવા તેનો રોડમેપ બનાવવાની જરૂર છે. આ સંજાેગોમાં વિદેશી એઆઈ કંપનીઓને વિચાર્યા વગર આમંત્રણ ભવિષ્યમાં અનેક મોરચે ગંભીર સવાલ ઊભા કરી શકે છે. ભારત સરકારે કોઈપણ વિદેશી એઆઈ કંપનીને ભારતમાં તેનું સેન્ટર સ્થાપવા ૨૦ વર્ષના ટેક્સ હોલિડે આપ્યા છે, તેની ટોકન ફેક્ટરીઓને સ્થાપવા ટેક્સ બ્રેક આપ્યા છે. તેની આ ટોકન ફેક્ટરીઓ ઇલેક્ટ્રોન્સનું ઇન્ટેલિજન્સમાં રૂપાંતર કરશે, જેથી એઆઈ એજન્ટ્સની ૨૪ કલાક કામગીરી અવિરત ચાલતી રહે. આ માટે આ કંપનીઓને સસ્તી વીજળી, સસ્તુ પાણી પૂરા પાડવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારે આ ૬૦ લાખ કોડરોની જવાબદારી પણ જે તે કંપનીઓના માથે જ નાખી દીધી છે. કંપનીઓ અને કોડરોએ તેમનું અસ્તિત્વ બચાવવું હોય તો જાતે જ ઝમૂમવું પડશે.




