
ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામની સિંચાઈ યોજના આજે માત્ર શોભાના ગઠિયા સમાન બની ગઈ છે. નર્મદાના સિંચાઈના પાણી માટે હીરાસર, મોરસલ, અકાળા, હબીયાસર અને કાંધાર વગેરે ગામોના ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ૧૫ વર્ષથી દર ચૂંટણી સમયે ખેડૂતોને ખોટા વાયદા કરવામાં આવે છે અને ખેડૂતોને ‘મામુ’ બનાવીને ભાજપ મતો લઈ જાય છે. દરેક ચૂંટણી પહેલાં નર્મદાની લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે, પરંતુ આ કેવું કામ છે કે જે હજી સુધી પૂરું જ થતું નથી! આ ગંભીર મામલે સ્થળ પર મુલાકાત લઈને વાત કરતા આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત આગેવાન રમેશ મેરએ જણાવ્યું હતું કે, અમે અત્યારે નાની મોરસલ સિંચાઈ યોજના ડેમ પર છીએ. મારી સાથે સંગઠન મહામંત્રી દેવાભાઈ જોગરાના અને ખેડૂત નેતા ગુગાભાઈ ઉપસ્થિત છે. આજે અમે ખાસ એટલા માટે આ મુલાકાત લીધી છે કારણ કે દર વખતે ચૂંટણી આવે ત્યારે નાની મોરસલ સિંચાઈ યોજનાના નામે ખેડૂતોને છેતરીને મતો લઈ જવામાં આવે છે. અમે આ સિંચાઈ યોજનાના સ્થળ પરથી સરકારને પૂછવા માંગીએ છીએ કે તમે ક્યાં સુધી નાની મોરસલ અને આજુબાજુના વિસ્તારના ગ્રામજનોને મૂરખ બનાવશો? દર વખતે ચૂંટણી આવે એટલે બે ભૂંગળા (પાઈપલાઈન) નાખી દેવામાં આવે છે. અમે અહીં આવીને જોયું તો માત્ર એક નાની પાઈપ આવીને પડી છે. આની પહેલાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે ભાજપના નેતાઓ અહીં આવીને કહેતા હતા કે ‘આ વખતે મત આપો, બીજા જ દિવસે પાણી આવશે.’ આ જ પ્રકારે તાલુકાની ચૂંટણીમાં પણ લોકોને મામુ બનાવવાનું કામ ભાજપવાળાએ કર્યું છે. આટલી મોટી સિંચાઈ યોજના અને આટલા મોટા ડેમમાં આટલી નાની પાઈપલાઈનથી પાણી ક્યારે ભરાશે?
AAP નેતા રમેશ મેરએ વધુમાં જણાવ્યુ હતુ કે જો આ સિંચાઈ યોજનાથી પાણી ભરવામાં આવે તો છેક સુધી પાણી પહોંચી શકે તેમ છે, પરંતુ આખા સૌરાષ્ટ્રમાં પાણી આપનારી સરકાર માત્ર ચોટીલા અને તેની આજુબાજુના વિસ્તારના ખેડૂતોને નર્મદાના પાણીથી વંચિત રાખવાનું કામ કરી રહી છે. જ્યારે અન્ય જગ્યાએ પાણી છલકાતું હોય, ત્યારે ચોટીલાના ખેડૂતોને પાણી આપવાના નામે સરકાર ઉંધી રકાબી ધરી દે છે. હું ખેડૂતોને અપીલ કરું છું કે તમે જાગો અને આ નેતાઓને પૂછો કે ભાઈ, તમને મત શેના માટે આપીએ? દર વખતે તમે પાણીના નામે મત લઈ જાવ છો પણ અહીં ડેમમાં પાણીનું એક ટીપુંય નથી. અત્યારે વરસાદ ખેંચાયો છે, જેના કારણે ખેડૂતોના મોંઘા બિયારણ ફેલ થઈ ગયા છે. જો આ સિંચાઈ યોજનામાં પાણી છોડવામાં આવ્યું હોત, તો અત્યારે ખેડૂતોનો પાક બચી ગયો હોત. અત્યારે પાક સુકાઈ રહ્યો છે, પશુઓ પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે અને ઘાસચારાની કોઈ વ્યવસ્થા નથી. તેથી અમે અહીંથી માંગ કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે આ કામ પૂરું કરે અથવા તો આ પાઈપો અહીંથી હટાવી લે. ચૂંટણીના નામે મતદારોને છેતરવાનો આ ખેલ હવે લાંબો સમય નહીં ચાલે. ખેડૂતો હવે જાગૃત થઈ ગયા છે, આપણે બધાએ એક થઈને આ સિંચાઈ યોજના પૂરી કરાવવા માટે મજબૂત લડત આપવી પડશે.




