
રેલયાત્રીઓ માટે મહત્વની સૂચના ૨૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર સુધી અનેક ટ્રેનો રહેશે રદ પૂર્વ મધ્ય રેલવેના નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે ટ્રેન સેવાઓ પ્રભાવિત; મુસાફરોને પ્રવાસ પહેલાં ટ્રેનનું સ્ટેટસ ચકાસવાની સલાહ રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મધ્ય રેલવે દ્વારા બિહારના મોકામા નજીક ગંગા નદી પર નવા રેલવે પુલને ડબલ લાઇન સાથે જાેડવાના કામને કારણે ૨૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ કરવામાં આવશે. રેલવે પ્રશાસને મુસાફરોને યાત્રા પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ અવશ્ય તપાસવાની અપીલ કરી છે.
રેલવેના જણાવ્યા મુજબ, મોકામા નજીક નવા રેલ પુલના જાેડાણ અને બરૌની જંક્શન વચ્ચે મુખ્ય લાઇનના અપગ્રેડેશન માટે નોન-ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાશે. આ ટેક્નિકલ કામગીરીને કારણે અનેક લાંબા અંતરની એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોની અવરજવર પ્રભાવિત થશે.
રદ થનારી ટ્રેનોમાં વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી–આસનસોલ સ્પેશિયલ અને હાવડા–જયનગર એક્સપ્રેસ સહિત અનેક મહત્વની ટ્રેનોનો સમાવેશ થાય છે. ઉપરાંત, ઘણી ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.રેલવે દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ૨૦ સપ્ટેમ્બરે ૬, ૨૧ સપ્ટેમ્બરે ૧૨, ૨૨ સપ્ટેમ્બરે ૧૩, ૨૩ સપ્ટેમ્બરે ૧૫, ૨૪ સપ્ટેમ્બરે ૨૧, ૨૫ સપ્ટેમ્બરે ૨૪, ૨૬ સપ્ટેમ્બરે ૨૯, ૨૭ સપ્ટેમ્બરે ૩૧, ૨૮ સપ્ટેમ્બરે ૨૧, ૨૯ સપ્ટેમ્બરે ૨૦, ૩૦ સપ્ટેમ્બરે ૨૫, ૧ ઓક્ટોબરે ૩૨, ૨ ઓક્ટોબરે ૩૨, ૩ ઓક્ટોબરે ૩૬ અને ૪ ઓક્ટોબરે ૨૧ ટ્રેનો રદ રહેશે.
આ ઉપરાંત, ૩૮૪ ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવશે, જ્યારે ૫૬ ટ્રેનોનું ગંતવ્ય પહેલાં જ સમાપન કરવામાં આવશે અને ૬૭ ટ્રેનો અન્ય સ્ટેશનોથી પોતાની મુસાફરી શરૂ કરશે.
રેલવે પ્રશાસને મુસાફરોને યાત્રા શરૂ કરતા પહેલાં IRCTC/NTES પોર્ટલ અથવા રેલવેના સત્તાવાર માધ્યમો પર પોતાની ટ્રેનનું નવીનતમ સ્ટેટસ તપાસવાની સલાહ આપી છે. ઉપરાંત, મુસાફરો ૧૩૯ રેલવે હેલ્પલાઇન પર સંપર્ક કરીને પણ ટ્રેન સંબંધિત માહિતી મેળવી શકે છે. નવા પુલનું કામ પૂર્ણ થયા બાદ આ માર્ગ પર ટ્રેન વ્યવહાર વધુ ઝડપી, સુરક્ષિત અને કાર્યક્ષમ બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.




