
સંગીત સંધ્યા પહેલાં જ થંભી ગયા શ્વાસ! ‘દુબઈના ઉદિત નારાયણ’ નિસાર વાયનાડનું નિધન ઉદિત નારાયણ જેવો હૂબહૂ અવાજ ધરાવતા નિસાર યુએઈના સ્ટેજ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અત્યંત લોકપ્રિય હતા યુએઈ (દુબઈ) સ્થિત મલયાલી પ્રવાસી સમુદાય અને સંગીત રસિકો વચ્ચે પોતાની વિશિષ્ટ ગાયકી માટે જાણીતા લોકપ્રિય ગાયક નિસાર વાયનાડનું ૪૪ વર્ષની નાની વયે દુબઈ ખાતે દુ:ખદ અવસાન થયું છે. બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર ઉદિત નારાયણ જેવો હૂબહૂ અવાજ ધરાવતા નિસાર યુએઈના સ્ટેજ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અત્યંત લોકપ્રિય હતા. તેમના આકસ્મિક નિધનથી મલયાલમ સંગીત જગત અને ખાડી દેશોમાં વસતા ભારતીય સમુદાયમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મળતી માહિતી અનુસાર શનિવારના બપોરે નિસારને અચાનક તીવ્ર તાવ આવતાં મિત્રો દ્વારા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ડેથ નોટિફિકેશન મુજબ, તેમના મોતના કારણ તરીકે એસિડોસિસ નોંધવામાં આવ્યું છે (આ એક એવી તબીબી સ્થિતિ છે જેમાં શરીરના પ્રવાહી અને લોહીમાં એસિડનું પ્રમાણ અસામાન્ય રીતે વધી જાય છે અને પીએચ લેવલ ઘટી જાય છે).અત્રે ઉલ્લેખનીય છે કે જે દિવસે તેમનું નિધન થયું, તે જ સાંજે તેમને અજમાનમાં એક મોટા મ્યુઝિકલ કોન્સર્ટમાં લાઈવ પર્ફાેર્મ કરવાનું હતું, પરંતુ સ્ટેજ પર પહોંચે તે પહેલાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ પોતાની પાછળ પત્ની અને બે દીકરીઓને વિલાપ કરતાં છોડી ગયા છે.નિસાર વાયનાડ બોલીવૂડના જાણીતા દિગ્ગજ ગાયક ઉદિત નારાયણના પરમ પ્રશંસક હતા. લાઈવ શોઝમાં હિન્દી ગીતો ગાતી વખતે તેમનો અવાજ ઉદિત નારાયણ સાથે એટલો મળતો આવતો હતો કે તેઓ સ્ટેજ પર ‘દુબઈના ઉદિત નારાયણ’ તરીકે ખ્યાતિ પામ્યા હતા.કેરળના પરંપરાગત ‘મપ્પિલાપટ્ટુ’ લોકસંગીતથી શરૂઆત કરીને તેમણે હિન્દી, મલયાલમ અને કન્નડ ગીતોમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તેમણે એક કન્નડ ફિલ્મ તેમજ મલયાલમ ફિલ્મ ‘પ્રોફેસર દિનકાન’ સાથે પણ પ્લેબેક સિંગર તરીકે કામ કર્યું હતું.નિસારના નિધન પર જાણીતા મલયાલમ પ્લેબેક સિંગર અફસલ સહિત અનેક કલાકારોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પી તેમને પોતાના પ્રિય મિત્ર અને ઉત્કૃષ્ટ કલાકાર ગણાવ્યા હતા. કેરળના વાયનાડથી નીકળીને દુબઈના સંગીત મંચો પર પોતાની આગવી ઓળખ બનાવનાર આ પ્રતિભાશાળી કલાકારની વિદાયથી સંગીત જગતને મોટી ખોટ પડી છે.




