
આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ, પણ પ્રાસંગિક રીતે આજે ચૈત્ર સુદ તેરસ એટલે કે જૈન ધર્મનાં અંતિમ તીર્થંકર એવાં મહાવીર સ્વામીની જન્મ જયંતી છે, એટલે એને વિશે જ ચિંતન કરીશું. રામનવમી જેમ મહાવીર જયંતિ પણ બે દિવસ છે, કોઈ કોઈ આવતીકાલે પણ ઉજવશે! આપણે ત્યાં અનુસરવામાં આવતાં ધર્મમાં જૈન ધર્મ એવો છે, જે થોડો ચુસ્ત અને અઘરો પણ છે. એટલે કે નીતિ નિયમો કઠિન, કારણ કે આ ધર્મમાં તપ અને સંયમ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જીવનમાં તપ વગર જ્ઞાનનું તેજ પ્રાપ્ત થતું નથી, અને તપ સંયમ વગર ફળદાયી નથી ! મનુષ્ય જન્મ મળ્યો છે તો આત્મૌદ્ધાર પ્રાપ્ત કર્યા વગર મૃત્યુને શરણે થવું, એ આ જન્મને બરબાદ કરવાં જેવું છે! એ સત્યનાં પાયા પર જૈન ધર્મ છે! ઉપરાંત સામાજિક જીવન માટે કે વ્યવ્હાર માટે પણ અમુક સત્યને દ્રઢ પણે વળગી રહેવામાં આવે તો, સામાજિક શાંતિ બની રહે, એવો ઉદ્દેશ પણ ખરો. આ ઉપરાંત જૈન ધર્મનાં પાયામાં અહિંસાની વાત પણ છે! વૈશ્વિક રીતે અત્યારે જે રીતે હિંસાનું દુષણ પ્રવેશી ગયું છે, ત્યાં વાતાવરણનાં જીવજંતુઓ પણ આપણાં શ્વાસોશ્વાસની ક્રિયાથી મરે નહીં, એટલું સૂક્ષ્મ હિંસાનું દર્શન એ બહુ મોટી અદભુત વાત છે. ભગવાન મહાવીરનાં જન્મદિવસે એમને ચરણે વંદન કરી, એના થકી આપણાં જીવનમાં શાંતિ આવે એવાં થોડાક મુખ્ય તથ્યોની વાત કરીએ.
ભગવાન મહાવીર વર્તમાન કાળચક્રનાં 24માં અને અંતિમ તીર્થંકર હતાં, એમનો જન્મ બિહારનાં વૈશાલીનાં કુંડ ગ્રામમાં રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા દેવીનાં ઘરે થયો હતો, અને એમનાં જન્મ પછી એમનાં રાજ્યમાં રિદ્ધિ સિદ્ધિ વધી હોવાથી એમનું નામ વર્ધમાન રખાયું. મહાવીર સ્વામીની માતા ત્રિસલા દેવીને વર્ધમાન જ્યારે ગર્ભમાં હતાં ત્યારે જ દૈવી સ્વપ્નો થકી આ જીવની મહાનતા કે શ્રેષ્ઠતાનું પ્રમાણ મળ્યું હતું. તેમની પત્નીનું નામ યશોદા હતું અને પ્રિયદર્શિની નામે એક પુત્રી પણ હતી, અને જમાઈનું નામ જમાલિ હતું. એમણે 30 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. 12.5 વર્ષની આકરી તપ સાધનાનાં અંતે 72 વર્ષે એમણે પાવાપુરી ખાતે નિર્વાણ પ્રાપ્ત થયું હતું. એમનાં જીવન ચરિત્રની મહત્વની વાત એ છે કે એમણે પોતાની ઇન્દ્રિયો પર જીત મેળવી હતી, અને એમનાં તમામ કર્મોનો ક્ષય કર્યો હતો! માટે એ મહાવીર કહેવાયા! એમણે જીવનનાં મુખ્ય પાંચ સિદ્ધાંતને અનુસરવાનો ઉપદેશ આપ્યો છે. અહિંસા, સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ! આ ઉપરાંત એમણે અનેકાંતવાદ પરની વાત પણ કરી, એટલે કે આપણી જેમ અન્યનાં વિચાર અને એમનું સત્ય સ્વીકારવું રહ્યું. આપણે સૌ જાણીએ છીએ કે એ સમય આજનાં સમય કરતાં ઘણો જુદો હતો, અને એ સમયનાં સમાજમાં પણ ઘણાં દૂષણો હશે જ! પરંતુ એમાં જાતિવાદ સૌથી ઉપર હતો, અને એટલે દરેક જ્ઞાતિને આત્મૌદ્ધારનો હક્ક નથી, એવું માનવામાં આવતું! જ્યારે આજે તો આત્મૌદ્ધાર તરફ કોઈને જોવું જ નથી! માત્ર ભોગ વિલાસ માટે જ મનુષ્ય જન્મ મળ્યો હોય એમ, જીવનનાં અંતિમ ચરણમાં પણ ભોગ કંઈ રીતે ભોગવી શકું! એ જ વિચારમાં જીવન વ્યતીત થાય છે! તો આજનાં સંદર્ભમાં આપણે જૈન ધર્મ અનુસારતાં હોઈએ નહીં તો પણ, આ સિદ્ધાંત થકી આપણે જીતેન્દ્રિય થઈ શકીએ છીએ, અને નિર્વાણ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ.
મહાવીર સ્વામીએ આપણાં વર્તમાન સમયમાં થોડા પાછળ જઈએ તો જોવાં મળતું એક હિમાલય જેવું ઉચ્ચ શીખર છે! અને એમણે બતાવેલ પાંચ મહાવ્રતને અનુસરવામાં આવે તો એ શીખર પર કે એમનાં હ્રદય સુધી પહોંચી શકાય નહીં તો કંઈ નહીં, પણ અશાંતિ ભર્યા જીવનમાં થોડી શાંતિ જરુર આવી શકે. કોઈ પણ પર્વત હોય તો એનાં માર્ગમાં આવતાં મુકામને ટૂંક કહેવામાં આવે છે, અને એટલે અહિંસા એ મહાવીર નામનાં શીખરની પહેલી ટૂંક છે! જોકે આ પાંચેય શબ્દો આપણાં વ્યવહાર જીવનમાં વારંવાર વાપરવામાં આવે છે, અને આપણે એનો અર્થ પણ સારી રીતે જાણીએ છીએ! પરંતુ એને અનુસરી શકતાં નથી, માટે આપણે મોક્ષ કે નિર્વાણ પ્રાપ્ત કરી શકતાં નથી, આ પાંચેય વ્રતને જુદી રીતે મુલવીએ.
અહિંસા** સમયનાં આ દોરમાં કે જ્યાં વાતવાતમાં હત્યા, બલાત્કાર જેવી નબળા પર હાવી થતાં બળવાનની અત્યંત હિંસક મનોવૃત્તિ વાળા સમાજમાં, કોઈનું મન પણ દુભાય નહીં, એવી ઉચ્ચ ભાવનાને અહિંસા કહેવામાં આવે છે, એ કહેવું પણ નકામું છે! પરંતુ મહાવીર જેવાં બુદ્ધ પુરુષ એ 12/12 વર્ષ સુધી તપ કરીને કહ્યું છે, એટલે આચરણમાં મૂકીએ તો ચોક્કસ પરિણામ આપે.
સત્ય ** વાણી વર્તન અને વિચારનું સાતત્ય બહું જરુરી છે જ, પણ મનુષ્ય જીવનનું સૌથી મોટું કોઈ જો સત્ય હોય તો, જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે! અને અહીંનો સંસાર, સંબંધ, કે પછી સંપત્તિ બધું જ અહીં મુકીને જવાનું છે! આ છોડીને એક દિવસ જવાનું છે, એ થોડું યાદ રહે તો હું અને મારુંની માનસિકતા બદલી શકે.
અસ્તેય** એટલે કે ચોરી ન કરવી! એક સમય એવો હતો જ્યારે આજીવિકા માટે કોઈ કામ ન મળે તો અનિચ્છાએ આ કામ કરવું પડતું. પણ આજનો કાળ જ ચોરીનો છે! એટલે કે કંઈ રીતે બીજાનું પડાવી લેવું. આજે સેલફોનમાં રહેલો ડેટા પણ સુરક્ષિત નથી! આ ઉપરાંત સાઈબર ક્રાઈમના આજે કેવાં કેવાં કિસ્સા સાંભળવા મળે છે. વચ્ચે બેન્ક રોબરી થતી, પણ હવે તો ઘરબેઠા જ એક ઓટીપીથી બેલેન્સ નીલ થઈ જાય. પણ મૂળમાં સંબંધોમાં છુપાવવું નહીં, અને જો છુપાવીએ તો એ ચોરી કહેવાય.
બ્રહ્મચર્ય** તપ સંયમથી ઈન્દ્રિય દમન કરવું! પણ આજનાં સમયમાં તો બ્રહ્મ જેવું આચરણ! એટલે તેની જેમ નાત જાત જોયાં વગર સૌનું પોષણ કરવું.
અપરિગ્રહ** સાવ સીધો અર્થ કરીએ વસ્તુઓનો સંગ્રહ ન કરવો! અને આ સૂત્ર વધતી જતી મોંઘવારી માટે બહુ સાચું છે,પણ ભોગની વિવિધતાનાં આ સમયમાં કદાચ વસ્તુઓનો સંગ્રહ થયો હોય, તો પણ આપણે મનમાં સ્મૃતિ નામે જે સંગ્રહ કરીએ છીએ, એનાથી જ નિંદા ઈર્ષા, અને દ્વેષ, વધે છે જે આપણાં જીવનમાં એવું ઝેર ઘોળે છે કે વાત મુકી દ્યો! એ રીતે અપરિગ્રહનાં વ્રતનો મહિમા કરી થોડો સુધારો થાય તો.
જૈન દર્શનનાં શાસ્ત્રમાં શરીર તત્વનો વાસ્તવિક અર્થ એ છે કે, શરીર એ મુક્તિ માટેનું માળખું છે, જે તત્વ દર્શનનાં છ સત્યથી દ્રઢ બને છે. ચેતના, અચેતન, આશ્રવ, બંધન, સ્મવર, નિર્જરા, અને મુક્તિ. આ ઉપરાંત પાપ પુણ્ય એ બે શ્વતાબંર ફાંટામાં વધુ ઉમેરવામાં આવે છે. તો આ મહાવીર જયંતિએ પ્રથમ મહાવીર નહીં પણ વીર બનીને આ પાંચેય વ્રતનું તત્વ ચિંતન કરી આપણે પણ કંઈક કરી શકીએ એવું સાહસ દાખવીએ. જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)




