
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું શરમજનક પ્રદર્શન રહ્યું છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ, ભારત સામેની હારથી તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા. ટુર્નામેન્ટ શરૂ થયાના માત્ર 5 દિવસમાં જ, યજમાન દેશ સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ ગયો છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે હારથી નિરાશ થઈને, PCB ટીમના મુખ્ય કોચ આકિબ જાવેદને બરતરફ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં શરમજનક પ્રદર્શન અને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ પાકિસ્તાનને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમના ભૂતપૂર્વ ખેલાડીઓ આ માટે માત્ર ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને જ નહીં પરંતુ પસંદગીકારોને પણ દોષી ઠેરવી રહ્યા છે.
ગેરી કર્સ્ટન પછી આકિબ જાવેદ ટીમના મુખ્ય કોચ બન્યા
ગયા વર્ષે ગેરી કર્સ્ટનને બરતરફ કર્યા બાદ પીસીબી દ્વારા આકિબ જાવેદને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પીટીઆઈએ પીસીબીના એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, “બોર્ડે હજુ સુધી નિર્ણય લીધો નથી કે પાકિસ્તાન ટીમમાં અલગ-અલગ મુખ્ય કોચ હશે કે નહીં. પરંતુ એ ચોક્કસ છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન બાદ, વર્તમાન સપોર્ટ સ્ટાફમાં ફેરફાર થશે.”
છેલ્લા કેટલાક વર્ષો પાકિસ્તાન ક્રિકેટ માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે. ટીમ માટે ઘણા મુખ્ય કોચ અને પસંદગીકારો બદલાયા છે. ક્રિકેટ બોર્ડ સામે હજુ પણ સૌથી મોટો પડકાર એ રહેશે કે કોની નિમણૂક કરવી જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું, “પરંતુ જે રીતે બોર્ડ ગયા વર્ષથી કોચ અને પસંદગીકારોમાં ફેરફાર કરી રહ્યું છે, તે જોતાં આ પદો માટે અન્ય ઉમેદવારો શોધવા એક પડકાર બનશે.”
