
SIT તપાસમાં દરરોજ લાખોની હેરફેરનો દાવો રામ મંદિરના બેન્ક ખાતામાં જમા રકમથી ખુલી પોલ ટ્રસ્ટના બેંક ખાતાઓમાં જમા થતી રકમમાં મોટો તફાવત : ચોરી પકડાયા બાદ દૈનિક દાન ૧૬-૧૮ લાખથી વધીને ૨૪-૨૬ લાખ થયું ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરના ચઢાવાની ચોરીનો મામલો અત્યારે ભારે ચર્ચામાં છે અને આ કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે.
રામ મંદિર ટ્રસ્ટમાં ચોરીનો ભાંડો ફૂટ્યા બાદ હવે બેંક ખાતાઓમાં જમા થતી રકમમાં એક મોટો અને ચોંકાવનારો તફાવત સામે આવ્યો છે. આ આંકડાકીય માયાવી ખેલને જાેઈને તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને આશંકા છે કે ટ્રસ્ટમાં લાંબા સમયથી દરરોજ લાખો રૂપિયાની ચોરી આચરવામાં આવી રહી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચોરીનો આ મામલો સપાટી પર આવ્યો તે પહેલાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) ના ખાતાઓમાં દરરોજ અંદાજે ૧૬ થી ૧૮ લાખ રૂપિયા જમા થઈ રહ્યા હતા. પરંતુ, જેવી જ ચોરીની વાત ઉજાગર થઈ અને તપાસ શરૂ થઈ, કે તરત જ આ બેંક ખાતાઓમાં જમા થતી દૈનિક રકમ વધીને ૨૪ થી ૨૬ લાખ રૂપિયા પ્રતિદિન પર પહોંચી ગઈ છે. દાનની રકમમાં અચાનક થયેલા આ આશ્ચર્યજનક વધારાથી એસઆઇટી પણ હેરાન છે. એજન્સીને પ્રબળ શંકા છે કે અગાઉ રોજ સરેરાશ ૬ થી ૮ લાખ રૂપિયા બારોબાર ચોરી કરી લેવાતા હતા.
એસઆઇટીએ હવે આ નાણાકીય તફાવતને જ પોતાની તપાસનો મુખ્ય હિસ્સો બનાવ્યો છે. અધિકારીઓ એ શોધવામાં લાગ્યા છે કે ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા આ લાખો રૂપિયા આખરે ક્યાં જઈ રહ્યા હતા અને આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે. આ સિલસિલામાં એસઆઇટીની ટીમે એસબીઆઈ બેંકના મેનેજર સહિત કુલ ૧૦ બેંક કર્મચારીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન અધિકારીઓએ બેંકના તમામ મહત્વના દસ્તાવેજાે અને ટ્રાન્ઝેક્શન (લેણદેણ) નો હિસાબ-કિતાબ પોતાના કબજામાં લઈ લીધો છે, જેથી કોની મિલીભગતથી આ ગેરરીતિ થતી હતી તે જાણી શકાય.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં બેંક અને ટ્રસ્ટ સાથે જાેડાયેલા બે થી ત્રણ લોકોની ભૂમિકા અત્યંત શંકાસ્પદ જણાઈ આવી છે. આ લોકોની ગતિવિધિઓ અને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓની પણ એસઆઇટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ હાઇપ્રોફાઇલ ચઢાવા ચોરી કેસમાં અન્ય કેટલાય મોટા માથાના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.




