
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના વટવા વિધાનસભાના રામોલ હાથીજણ વોર્ડના પ્રમુખ નિશાંત ઠક્કર પર FIR કરવામાં આવી છે. નિશાંત ઠક્કર એક એવા યુવા છે જેમણે પોતાના વિસ્તાર સહિત અમદાવાદના અન્ય વિસ્તારોના રોડ રસ્તાના મુદ્દે, પ્રદૂષણના મુદ્દે સહિત અનેક મુદ્દે અમદાવાદની જનતાનો અવાજ બનવાની કોશિશ કરી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજ સહિત ગુજરાતના તમામ લોકો માટે અવાજ ઉઠાવ્યો તો એ પણ સરકારને ગમ્યું નહીં, બીજી બાજુ અમદાવાદમાં નિશાંત ઠક્કર પણ લોકોનો અવાજ ઉઠાવી રહ્યા હતા, એ પણ સરકારને ન ગમ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો મજબૂતીથી સરકારની સામે લડ્યા એ પણ સરકારને ન ગમ્યું જેના કારણે ડઝનો કેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર કરવામાં આવ્યા. આજની તારીખમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કંઈ બોલે છે તો પહેલા તેમના પર FIR કરવામાં આવે છે પછી વાત કરવામાં આવે છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ડૉ. કરન બારોટે જણાવ્યું કે, સરકારને અમે કહેવા માંગીએ છીએ કે FIRએ ન્યાય માટેનું સાધન છે, બદલો લેવા માટે FIR કરવાની ન હોય. જ્યારે કાયદાનો દુરુપયોગ થાય છે ત્યારે લોકોને તેના પરથી વિશ્વાસ ઉઠી જાય છે, ન્યાયતંત્રમાં નિષ્પક્ષતા હોવી જોઈએ, પારદર્શિતા હોવી જોઈએ અને કાયદાનો ઉપયોગ લોકોની ભલાઈ માટે થવો જોઈએ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામાન્ય પરિવારોમાંથી આવે છે, એટલા માટે તમને એવું લાગે છે કે એમને જેલમાં નાખીશું તો તેઓ ડરી જશે પરંતુ તેઓ ડરવાના નથી કારણ કે અમે બદલાવ માટે આવ્યા છીએ, લોકો માટે લડવા માટે આવ્યા છીએ, પછી ભલે અમારી પાછલી પેઢીઓમાંથી કોઈ રાજનીતિમાં ન હોય, ભલે અમારી જેલમાં જવું પડે પરંતુ ગુજરાતની જનતા માટે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા લડતો આવ્યો છે અને લડતો રહેશે. નિશાંત ઠક્કર હોય કે ચૈતર વસાવા હોય કે કોઈપણ કાર્યકર્તા હોય તેમને જેલમાં બંધ કરવાથી તેમનો અવાજ નહીં દબાય, ઉપરથી તેમનો અવાજ વધારે મજબૂતાઈથી ઉઠશે. આગામી સમય પ્રદૂષણના મુદ્દે, મહિલાઓના મુદ્દે, યુવાનોના મુદ્દે સહિત તમામ મુદ્દા આમ આદમી પાર્ટી સતત ગુજરાતની જનતાનો અવાજ બનશે.




