
ધરણાં સામે ધરણાંની રાજનીતિ પટણા, જયપુર, ભોપાલમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો બાખડ્યાં દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા કૌભાંડોને લઈને દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલું આંદોલન હવે દેશવ્યાપી બન્યું છે દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા કૌભાંડોને લઈને શરૂ થયેલું આંદોલન હવે દિલ્હીથી નીકળીને સમગ્ર દેશમાં વ્યાપક બની ગયું છે. જંતર-મંતરથી શરૂ થયેલું આ પ્રદર્શન હવે દેશના અનેક રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે, જેને કારણે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો, વિદ્યાર્થીઓ અને સામાજિક સંગઠનો સાથે મળીને સરકાર ઘેરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ પણ વળતો પ્રહાર કરી રહ્યું છે. સંસદ માર્ચ દરમિયાન ઘર્ષણ અને રાહુલ ગાંધીની અટકાયત બાદ ધરણાં સામે ધરણાંની રાજનીતિ તેજ બની છે, જેના પરિણામે પટણા, જયપુર અને ભોપાલ જેવા શહેરોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા છે અને બંને પક્ષો વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે.
બુધવારે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોએ સંસદ પરિસરમાં મકરદ્વારની બહાર જાેરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે અનેક સાંસદો કાળા કપડાં પહેરીને આવ્યા હતા. આ આંદોલનની શરૂઆત જંતર-મંતરથી થઈ હતી, પરંતુ વિરોધ વધતાં પ્રદર્શનકારીઓએ સંસદ તરફ માર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બેરિકેડ લગાવીને તેમને રોકતા અનેક સ્થળોએ ઘર્ષણ અને લાઠીચાર્જની ઘટનાઓ બની હતી. પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી હતી. સોશિયલ મીડિયા પર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની તસવીરો અને વીડિયો વાઇરલ થતાં સમગ્ર દેશમાં ભારે ચર્ચા જાગી છે.
આ ઘટના બાદ કોંગ્રેસે સરકાર પર વિરોધ પ્રદર્શન દબાવવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધી સહિત પાર્ટીના અગ્રણી નેતાઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા હતા. દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરી હતી, જેને કોંગ્રેસે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. સામે પક્ષે સરકારે પલટવાર કરતા જણાવ્યું હતું કે વિપક્ષ આ મુદ્દાનું રાજકારણ કરી રહ્યો છે.
સંસદના ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દો ગૂંજ્યો હતો. વિપક્ષે શિક્ષણ વ્યવસ્થા અને પોલીસ કાર્યવાહીને લઈને સરકારને ઘેરી હતી, જ્યારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિપક્ષ પર વિદ્યાર્થીઓને મોહરું બનાવવાનો આરોપ મૂક્યો હતો. દિલ્હી ઉપરાંત ભોપાલ, લખનઉ, મુંબઈ અને અમદાવાદ સહિતના શહેરોમાં બુધવારે પ્રદર્શનો થયા હતા. અમદાવાદમાં આશરે ૧૫૦ પ્રદર્શનકારીઓની અટકાયત કરીને બાદમાં મુક્ત કરાયા હતા.
બિહારની રાજધાની પટણાના રસ્તાઓ પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ભારે નારેબાજી થઈ હતી અને આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે.
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે અને આયોજકોએ માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
આ આંદોલનનો અવાજ હવે પૂર્વોત્તર સુધી પહોંચ્યો છે. મિઝોરમના આઇઝોલમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા CJP પ્રદર્શન અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ રાજકીય જવાબદારી નક્કી કરવાની માંગ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ જાેરદાર માંગ કરી હતી.




