
રણબીરની રામાયણ સામે નવો વિવાદ રામાયણ પહેલાં અમને બતાવો નહિ તો વિરોધ કરશું : રામ લીલા સંઘ ટ્રેલરમાં કોશ્ચ્યુમ વિચિત્ર છે, કેટલાક સીનથી લોકોની લાગણી દૂભાય તેમ છે તેવો રામ લીલા સંઘે દાવો કર્યો રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ ફિલ્મ દ્વારા કોઇની ધાર્મિક લાગણી દૂભવવામાં આવશે તો તે ચલાવી લેવામાં નહીં આવે , આ માટે પહેલાં અમને ફિલ્મ બતાવો પછી જ થિયેટરમાં રીલિઝ કરવામાં આવે એમ શ્રી રામલીલા મહાસંઘના પ્રમુખ અર્જુન કુમારે ચેતવણી આપતાં જણાવ્યું હતું.એક પત્રકાર પરિષદમાં અર્જુન કુમારે જણાવ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં જે કોશ્ચ્યુમ દર્શાવવામાં આવ્યા છે તે વિચિત્ર લાગતા હોઇ અમે ફિલ્મના નિર્માતા-ર્નિદેશકને પત્ર લખી ફિલ્મ રીલિઝ કરતાં પહેલાં અમારે માટે તેનો પ્રિવ્યુ યોજવાની માંગણી કરી છે.મહાસંઘના પ્રમુખે જણાવ્યું હતું કે મહાસંઘને માહિતી મળી છે કે ‘રામાયણ’માં અમુક સીન એવા છે જેના કારણે ભારત અને વિદેશમાં હિન્દુ લોકોની લાગણી દૂભાઇ શકે છે. આ સ્થિતિમાં અમે સ્પેશ્યલ પ્રિવ્યુ યોજવાની માંગણી કરી છે જેથી કોઇ વાંધાજનક સીન કે સંવાદ હોય તો તેને રીલિઝ કરતાં પહેલાં કાઢી શકાય.અર્જુન કુમારે ધમકી આપી હતી કે જાે અમારે માટે પ્રિવ્યુ યોજવામાં નહીં આવે અને તેમાં વાંધાજનક સીન હશે તો અમારું સંગઠન આખા દેશના શહેરોમા ફિલ્મની રીલિઝ સમયે દેખાવો કરશે.મહાસંઘના પ્રમુખે જણાવ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં અમને જરૂરી લાગણી અનુભવાઇ નથી. તેમણે ‘આદિપુરૂષ’નો દાખલો આપી જણાવ્યું હતું કે આ ફિલ્મને કારણે લોકોની લાગણી દૂભાઇ હોવાથી તે નિષ્ફળ નીવડી હતી. અમે રામલીલા મહાસંઘ અને દિલ્હીની રામલીલા કમિટી સાથે ચર્ચાવિચારણા કરી આ માંગણી કરી છે.




