
નર્મદા ભારતની પવિત્રતમ નદીઓમાંની એક છે,તેનો ઉદગમ્ અમરકંટકમાંથી થાય છે અને પશ્ચિમ દિશામાં વહેતી નર્મદા ખંભાતના અખાતને મળે છે.નર્મદાનું પ્રાચીન નામ ‘રેવા’ છે.નર્મદા નદીના કિનારે ખંડવા પાસે વિંધ્ય પર્વતમાળામાં એક પવિત્ર સ્થાન આવેલું છે,જ્યાં ભગવાન શિવનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ‘ૐકારેશ્વર’ બિરાજમાન છે.
ૐકારેશ્વર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.આ પવિત્ર ધામ નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે,જેને માંધાતા અથવા શિવપુરી કહેવામાં આવે છે.આ ટાપુનો આકાર ‘ૐ’ જેવો દેખાય છે. અહીં ૐકારેશ્વર અને મમલેશ્વર નામે બે પવિત્ર શિવધામો આવેલાં છે.ૐકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે અનેક દંતકથાઓ અને લોકપ્રચલિત કથાઓ જોડાયેલી છે,તેમાંથી એક
અત્યંત પ્રસિદ્ધ કથા વિંધ્ય પર્વત,દેવર્ષિ નારદ અને ભગવાન શિવ સાથે સંકળાયેલી છે. વિંધ્ય પર્વત અને નારદજીની કથા શિવમહાપુરાણની કોટિરૂદ્ર સંહિતામાં વિંધ્ય પર્વતને લગતી કથાનો ઉલ્લેખ મળે છે.એક સમયે દેવર્ષિ નારદ વિંધ્ય પર્વત પાસે આવ્યા,તેમણે પોતાની તીવ્ર વાણીમાં વિંધ્યને મેરૂ પર્વતની મહાનતા સંભળાવી.આ વાતથી વિંધ્ય પર્વતને મેરૂ પ્રત્યે ઈર્ષ્યા થઈ અને તેણે મેરૂ કરતાં પણ મોટો બનવાનો સંકલ્પ કર્યો.
મેરૂ કરતાં મોટો બનવા માટે વિંધ્ય પર્વતે ભગવાન શિવની છ મહિના સુધી કઠોર તપશ્ચર્યા અને ઉપાસના કરી.વિંધ્યની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને ઇચ્છિત વરદાન આપ્યું.સર્વ દેવો અને ઋષિ-મુનિઓની વિનંતિથી ભગવાન શિવે પોતાના લિંગના બે સ્વરૂપ કર્યા.એક સ્વરૂપ ‘ૐકારેશ્વર’ અને બીજું ‘મમલેશ્વર’ અથવા ‘અમરેશ્વર’ તરીકે પ્રસિદ્ધ થયું.
ભગવાન શિવે વિંધ્યને વૃદ્ધિ પામવાનું વરદાન આપ્યું પરંતુ સાથે એક શરત રાખી કે તે ક્યારેય શિવભક્તોના માર્ગમાં અવરોધરૂપ નહીં બને.વિંધ્ય પર્વતે વધવાનું શરૂ કર્યું પરંતુ સમય જતાં તે પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયો,તેની ઊંચાઈ એટલી વધવા લાગી કે તેણે સૂર્ય અને ચંદ્રના માર્ગમાં પણ અવરોધ ઊભો કર્યો.આથી સર્વ ઋષિ-મુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયા.
અગસ્ત્ય ઋષિ પોતાની પત્ની સાથે વિંધ્ય પર્વત પાસે આવ્યા,તેમણે વિંધ્યને પ્રેમપૂર્વક સમજાવ્યું કે “જ્યાં સુધી હું અને મારી પત્ની પાછાં ન ફરીએ ત્યાં સુધી તમે આ જ સ્થિતિમાં રહેજો.” વિંધ્યે તેમની વાત સ્વીકારી.અગસ્ત્ય ઋષિ ત્યારબાદ દક્ષિણ તરફ ગયા અને પાછા ફર્યા જ નહીં,તેથી વિંધ્ય પર્વતની વૃદ્ધિ પણ અટકી ગઈ.
આ કથાનો આધ્યાત્મિક અર્થ અત્યંત સુંદર છે.ઋષિકુમાર અગસ્ત્યે જ્યારે વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે તેમના અંતરમાં એક વિચાર જાગ્યો કે ‘આ દેહ માત્ર સંસારના સુખો ભોગવવા માટે નથી.આ દેહ તો પ્રભુકાર્ય માટે મળ્યો છે.’ તેમણે સંકલ્પ કર્યો કે પોતાની વિદ્યા અને જીવનનો ઉપયોગ જ્યાં પ્રભુકાર્યની સૌથી વધુ જરૂર હોય ત્યાં કરશે.મનુષ્ય જ્યારે જ્ઞાનની પરિપૂર્ણ અવસ્થાએ પહોંચે છે ત્યારે તેને સમજાય છે કે ધન,વૈભવ,અહંકાર અને ‘મારૂં-તારૂં’ બધું જ નાશવંત છે. ‘ધન મારૂં નથી,જગત મારૂં નથી અને અહંકાર
પણ મારો નથી’-આ ભાવ જ આત્મજ્ઞાન તરફ લઈ જાય છે.
ઋષિકુમાર અગસ્ત્ય પોતાની વિદ્યા ભગવાનના ચરણોમાં અર્પણ કરવા નીકળી પડ્યા.જ્યાં સદ્વિચારો પહોંચ્યા ન હતા ત્યાં જઈને લોકોને સારા જીવનનો માર્ગ બતાવવાનો તેમણે વિચાર કર્યો.ફરતાં ફરતાં તેઓ વિંધ્ય પર્વત પાસે આવ્યા.ત્યાં તેમને પર્વતનો આકાર ‘ૐ’ જેવો લાગ્યો.‘ૐ’ પ્રણવનું પ્રતીક છે,તેની ઉપાસના દ્વારા નિર્ગુણ-નિરાકાર પરમ ચૈતન્યની અનુભૂતિ તરફ મનુષ્ય આગળ વધી શકે છે.અગસ્ત્ય ઋષિએ ત્યાં વસતા પર્વતીય લોકોને જીવન જીવવાની પદ્ધતિ સમજાવવાનું શરૂ કર્યું, તેમને સ્વચ્છતા, સ્નાન,સંધ્યા,પૂજા,ધ્યાન,સંસ્કાર,પરિવારવ્યવસ્થા અને પરસ્પર એકતાનું મહત્વ સમજાવ્યું. તેમણે લોકોને સમજાવ્યું કે પતિ-પત્ની બે શરીર હોવા છતાં જીવનમાં એકબીજાના પૂરક છે.તેમણે અદ્વૈતના જીવનસિદ્ધાંતને વ્યવહારમાં ઉતારવાની પ્રેરણા આપી.
અગસ્ત્ય ઋષિના પ્રયત્નોથી લોકોમાં કુટુંબવ્યવસ્થા ઊભી થઈ,યુવાનોમાં સંગઠન અને સંઘબળ આવ્યું તથા વ્યક્તિગત પ્રતિભાઓ વિકસવા લાગી.તેમણે લોકોને ખેતી શીખવી,વિવિધ કળાઓનો વિકાસ કરાવ્યો અને વ્યવસ્થિત જીવન જીવવાનો માર્ગ બતાવ્યો.અગસ્ત્ય ઋષિ લોકોમાં એટલા ભળી ગયા કે તેઓ સૌના પ્રિય બની ગયા.તેમની મહેનતથી વિંધ્ય પર્વતની આસપાસનો વિસ્તાર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયો.
સમૃદ્ધિ સાથે ભક્તિનું મહત્વ..પરંતુ જીવનમાં ઘણી વખત એવું બને છે કે સુખ-સમૃદ્ધિ આવે ત્યારે મનુષ્યની ભક્તિ પ્રત્યેની પકડ ઢીલી પડવા લાગે છે.સમાજમાં વૈભવ વધ્યો અને લોકોમાં એવો અહંકાર જન્મ્યો કે “અમે સમૃદ્ધ છીએ,શક્તિશાળી છીએ અને આ બધું અમારા પોતાના પુરૂષાર્થથી પ્રાપ્ત કર્યું છે.” દેવર્ષિ નારદજીને લાગ્યું કે જો આ લોકોમાં ભક્તિનો આધાર નહીં રહે તો અગસ્ત્ય ઋષિએ કરેલો સમગ્ર પરિશ્રમ નિરર્થક બની શકે છે.નારદજીને ત્યાં આવેલા જોઈ લોકોએ અહંકારપૂર્વક કહ્યું કે “તમે આખી દુનિયામાં ફરો છો પરંતુ અમારા જેવો સુખી અને સમૃદ્ધ સમાજ ક્યાં જોયો છે? અમે પરસેવો પાડીને આ વૈભવ ઊભો કર્યો છે.અમારે ત્યાં કોઈ નવરો નથી,બધા ઉદ્યમી છે.”
આ સાંભળીને નારદજીએ તેમને સમજાવ્યું કે માત્ર વૈભવ અને પુરૂષાર્થ જ જીવનની શ્રેષ્ઠતાનું માપદંડ નથી.તેમણે કહ્યું કે મેરૂ પર્વતનું મહત્વ માત્ર તેની ઊંચાઈમાં નથી પરંતુ ત્યાંના લોકોના અંતરમાં રહેલી ઈશ્વરભક્તિમાં છે.મેરૂ પર્વતના લોકો માનતા હતા કે તેમને પ્રાપ્ત થયેલું સુખ અને વૈભવ માત્ર તેમના પુરૂષાર્થનું પરિણામ નથી પરંતુ તે પરમાત્માનો પ્રસાદ છે.આ ભાવનાથી તેમના અંતરમાં કૃતજ્ઞતા
અને ભક્તિ જીવંત રહેતી હતી.
નારદજીએ સમજાવ્યું કે ભક્તિપૂર્ણ અંતઃકરણ વગરનો વૈભવ લાંબો સમય ટકી શકતો નથી.અહંકાર વધે તો સંગઠન તૂટે છે,લોકો પરસ્પર લડવા લાગે છે અને સમૃદ્ધિનો નાશ થવા લાગે છે.નારદજી કોઈને શ્રાપ આપવા આવ્યા નહોતા,તેઓ માર્ગદર્શન આપવા આવ્યા હતા.વિંધ્ય પર્વતના લોકોએ નારદજીની વાત સમજી અને તેમની પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું.આ લોકો પાસે વૈભવ હતો,એકતા હતી, સામર્થ્ય હતું અને કર્તૃત્વ હતું,માત્ર ભક્તિનો ભાવ જ ઓછો હતો.નારદજીએ તેમના જીવનમાં ભક્તિનો પ્રકાશ પ્રગટાવ્યો.
ભક્તિ અને એકતાનો સંગમ..ધીમે ધીમે વિંધ્ય પર્વતની આસપાસના લોકોમાં જાગૃતિનું મોજું ફરી વળ્યું.ઘેર ઘેર ઈશ્વરભક્તિનો ભાવ જાગ્યો.સમાજમાં એકતા અને ભક્તિનું વાતાવરણ ઊભું થયું. ‘જ્યાં એકતા હોય ત્યાં પરમાત્માની શક્તિ પ્રગટ થાય છે’-આ ભાવ આ સમગ્ર કથાનો મુખ્ય સંદેશ છે. પોતાના ભક્તો અગવડમાં આવે ત્યારે પ્રભુ પધારે છે પરંતુ જ્યારે મનુષ્ય પોતાના સુખ-વૈભવ
વચ્ચે પણ પરમાત્માની ભક્તિ અને સમાજસેવામાં જોડાય છે ત્યારે પણ ભગવાન પ્રસન્ન થાય છે.આ પર્વતીય લોકો પાસે સુખ અને સમૃદ્ધિ બધું જ હતું છતાં તેમણે પોતાના જીવનમાં ભક્તિ સ્થાપિત કરવા અને સમાજના દરેક ઘરમાં ઈશ્વરભાવ પહોંચાડવા માટે પુરુષાર્થ કર્યો. તેમની તપશ્ચર્યા,એકતા,સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને દર્શન આપ્યાં. એ પવિત્ર સ્થાનને ૐકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે જોડવામાં આવે છે.
ભગવાનના દર્શન થતાં પર્વતીય લોકો આનંદિત થયા,તેમણે અંતઃકરણપૂર્વક ભગવાનની પૂજા કરી અને પ્રાર્થના કરી કે “હે પ્રભુ ! અમારા ભાવથી તમે પ્રસન્ન થઈ અમને દર્શન આપ્યાં.અગસ્ત્ય ઋષિની કૃપાથી અમારા જીવનમાં શાંતિ,સમાધાન અને આનંદ આવ્યો છે.” તેમણે ભગવાનને કોઈ ભૌતિક વસ્તુ માગી નહીં.તેમની એક જ ઈચ્છા હતી કે લોકોના જીવનમાં સતત ભગવાનનો સ્પર્શ અને ભક્તિનો ભાવ જળવાઈ રહે.તેમણે પ્રાર્થના કરી કે “હે પ્રભુ ! તમારા પવિત્ર સાનિધ્યથી જીવનની દરેક વાત શુદ્ધ,પવિત્ર, તેજસ્વી અને સુખદાયી બને છે.લોકોને આ સત્યનો સતત ખ્યાલ રહે તે માટે આપ અહીં સદાય નિવાસ કરો.”
‘ૐકાર’નો આધ્યાત્મિક સંદેશ..વિકાસની અંતિમ અવસ્થા પરમાત્મા સાથે એકરૂપ થવાની છે.‘ૐ’ પ્રણવનું પ્રતીક છે.ૐકારના ઉપાસક માટે ભક્તિનો અર્થ માત્ર ભૌતિક સુખ માગવો નથી પરંતુ જીવનને શુદ્ધ,પવિત્ર અને પરમાત્મામય બનાવવો છે.અહંકારનો અંત કરો,‘મારૂં-તારૂં’ છોડો,જીવનને પ્રભુકાર્યમાં સમર્પિત કરો અને અંતરમાં પરમાત્માનો અનુભવ કરો..આ જ આ કથાનો આધ્યાત્મિક સાર છે. ૐકારેશ્વર ધામની વિશેષતાઓ..ૐકારેશ્વર ધામ નર્મદા નદીના બંને કિનારા સાથે જોડાયેલું પવિત્ર તીર્થ છે.પરિક્રમા માર્ગ પર અનેક મંદિરો,આશ્રમો અને સાધનાના પવિત્ર સ્થળો આવેલાં છે.મંદિર સાથે વિવિધ પરંપરાઓ અને લોકમાન્યતાઓ પણ જોડાયેલી છે.તેમાં ભગવાન શિવના શયનદર્શન અને રાત્રિના ચોસરના પ્રસંગની માન્યતા વિશેષ જાણીતી છે.
લોકપ્રચલિત માન્યતા અનુસાર ભગવાન શિવ દરરોજ ત્રણેય લોકમાં ભ્રમણ કર્યા પછી રાત્રે ૐકારેશ્વર ધામમાં આવી વિશ્રામ કરે છે.શયન આરતી બાદ જ્યોતિર્લિંગ સમક્ષ ચોસર ગોઠવવામાં આવે છે. માન્યતા એવી છે કે રાત્રે ગર્ભગૃહમાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી છતાં સવારે ચોસરના પાસા બદલાયેલી સ્થિતિમાં જોવા મળે છે.આ પ્રસંગને ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલી દિવ્ય લીલા તરીકે માને છે.
મંદિરમાં રાત્રે વિશેષ શયન આરતીની પરંપરા પણ છે.ગર્ભગૃહમાં વિશેષ પૂજન અને અભિષેકની ધાર્મિક વિધિઓ પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે.આ તમામ પરંપરાઓ ભક્તોના અંતરમાં ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા,ભક્તિ અને સમર્પણને વધુ ગાઢ બનાવે છે.
કથાનો બોધ..ૐકારેશ્વર જ્યોતિર્લિંગની આ કથા આપણને ત્રણ મહત્ત્વના સંદેશ આપે છે. વૈભવ મળે ત્યારે અહંકાર ન કરવો, જ્ઞાન અને પુરૂષાર્થ સાથે ભક્તિ અને કૃતજ્ઞતા હોવી જરૂરી છે અને પોતાના જીવનનો ઉપયોગ માત્ર પોતાના સુખ માટે નહીં પરંતુ સમાજ અને પ્રભુકાર્ય માટે કરવો. ભગવાનની ભક્તિથી જોડાયેલું જીવન જ સાચા અર્થમાં સુખી અને સમૃદ્ધ જીવન છે.




