
મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં કેમ્પ હનુમાન ખાતે ૨૫૧ કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો હનુમાન જયંતિના અવસરે અમદાવાદમાં આવેલ હનુમાન મંદિર જય શ્રી રામ અને જય હનુમાનના નાદથી ગુંજ્યું
અમદાવાદ સહિત ગુજરાતમાં આજે ગુરુવારે(૨ એપ્રિલ, ૨૦૨૬) હનુમાન જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. જેમાં અમદાવાદના શાહીબાગ કેમ્પ હનુમાન ખાતે જન્મોત્સવની ઉજવણીમાં ૨૫૧ કિલોની કેક અને આકર્ષક ફૂલોના શણગાર સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો.
હનુમાન જયંતિના પવિત્ર અવસરે અમદાવાદ શહેરમાં આવેલ હનુમાન મંદિર જય શ્રી રામ અને જય હનુમાનના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શહેરના તમામ હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેમાં શાહીબાગ સ્થિત સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું હતું.
કેમ્પ હનુમાન મંદિર પરિસરને મનમોહક ફૂલોથી શણગારીને અત્યંત ભક્તિમય વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.
આ વિશેષ પ્રસંગે પવનપુત્રના જન્મોત્સવને યાદગાર બનાવવા માટે ૨૫૧ કિલો માવાની વિશાળ કેક કાપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી. મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્ય સરિતભાઈ ચોક્સીના જણાવ્યા અનુસાર, આ વર્ષે અંદાજે ૭૦ હજારથી ૧ લાખ ભક્તો દર્શન કરે તેવી શક્યતાને પગલે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિરના દ્વાર વહેલી સવારે ૬ વાગ્યાથી ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા અને આર્મીની વિશેષ પરવાનગી મેળવીને રાત્રે ૧૨:૧૫ વાગ્યા સુધી દર્શન ચાલુ રાખવાનો ર્નિણય લેવાયો છે. દિવસભરના કાર્યક્રમોમાં સવારે સુંદરકાંડના પાઠ, ૧૦ વાગ્યે મુખ્ય જન્મોત્સવ અને ૧૧ વાગ્યે ધજા પૂજન સંપન્ન થયું હતું.
આ ઉપરાંત, સવારથી શરૂ થયેલા મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે ૫ વાગ્યે થશે ત્યારબાદ સંધ્યા આરતી યોજાશે. ભક્તો માટે ૧૫ જાર લોકોની ક્ષમતા ધરાવતા ભંડારાનું આયોજન કરાયું છે, જેમાં ૨૫૧ કિલો દૂધના માવાની કેક અને ૨૫૧ કિલો બુંદીનો પ્રસાદ મુખ્ય આકર્ષણ રહ્યા છે.




