
સપ્ટેમ્બરના પ્રારંભ સુધીમાં ચેપી રોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો ચોમાસામાં રોગચાળો વકર્યાે : ડેન્ગ્યુ, મેલેરિયા-વાયરલ ફીવરના કેસમાં વધારો હેપેટાઇટિસ(કમળો)ના દર્દીઓ જુલાઈના ૧૭૪થી વધીને ઓગસ્ટ દરમિયાન ૧૯૪ નોંધાયા ચોમાસામાં અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, જુલાઈ મહિનાની સરખામણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના પ્રારંભ સુધીમાં વિવિધ ચેપી રોગોના દર્દીની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા સાત દિવસમાં ઓપીડીમાં ૨૧૯૦૩ લોકો આવ્યા હતા, જે પૈકી ૨૨૬૮ લોકો સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં ઉછાળો જાેવા મળ્યો છે. જુલાઈ ૨૦૨૬માં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૩૨ કેસ નોંધાયા હતા, જે વધારા સાથે ૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન વધીને ૯૪ કેસ થઈ ગયા છે. આમ, ડેન્ગ્યુના કેસોમાં લગભગ ત્રણ ગણો વધારો જાેવા મળ્યો છે. આ ઉપરાંત મલેરિયાના કેસો જુલાઈમાં ૭થી ઓગસ્ટમાં વધીને ૪૩ થયા છે, જ્યારે મલેરિયા પી.એફ.ના કેસો જુલાઇમાં બેથી વધીને ઓગસ્ટમાં ૧૩ સુધી પહોંચી ગયા છે. ચિકનગુનિયાના કેસોમાં પણ નજીવો વધારો નોંધાયો છે અને તે ૭થી વધીને ૧૦ થવા પામ્યા છે. પાણીજન્ય અને વાયરલ બીમારીઓની વાત કરીએ તો, ઝાડા-ઊલટી અને કમળાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હેપેટાઇટિસ(કમળો)ના દર્દીઓ જુલાઈના ૧૭૪થી વધીને ઓગસ્ટ દરમિયાન ૧૯૪ નોંધાયા છે. જાેકે, ટાઇફોઇડ(એન્ટરિક ફીવર)ના કેસોમાં રાહત જાેવા મળી છે. જે જુલાઈમાં ૧૭ હતા તે ઘટીને ૭ પર આવ્યા છે. બીજી તરફ, તાવ અને શરદી-ઉધરસના દર્દીઓનો સતત ધસારો હોસ્પિટલમાં જાેવા મળ્યો છે. વાયરલ ફીવરના કેસો જુલાઈના ૫૭૪થી વધીને ૬૩૯ નોંધાયા છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂના ૩ કેસ પણ સામે આવ્યા છે. છેલ્લા ૭ દિવસમાં સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ૨૧,૯૦૩ દર્દીએ સારવાર મેળવી છે, ગંભીર લક્ષણો ધરાવતા ૨,૨૬૮ દર્દી દાખલ કરાયા હતા.




