
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
આ હળહળતા કળિયુગ માં જ્યારે માતા-પિતા લાગણીમાં આવીને પોતાની તમામ સંપત્તિ પોતાના વ્હાલ સોયા ના નામે કરી ને પાછલી જિંદગી જ્યારે શાંતિ થી જીવવાના સપના જોતા હોય છે અને પાછળથી ભિખારી જેવી દશામાં કે વૃધ્ધાશ્રમો માં દમ દોડી પ્રભુ ને પ્યારા થતા હોય છે.
ત્યારે એનાથી વિપરીત કિસ્સો વૃંદાવનનો જાણવા મળ્યો છે. વૃંદાવનના પ્રખ્યાત અને પવિત્ર શ્રી બાંકે બિહારી મંદિરમાંથી એક અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી દ્રશ્ય સામે આવ્યું છે. જેણે સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીતી લીધાં છે. મંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે એક શ્રદ્ધાળુ પુત્ર પોતાની વૃધ્ધ અને અશક્ત માતાને પોતાના ખભા પર બેસાડીને પ્રભુ બાંકે બિહારીનાં દર્શન કરાવતો જોવા મળ્યો હતો.
આજકાલ જ્યાં માતા-પિતા પ્રત્યેની જવાબદારી થી લોકો દૂર ભાગતા દેખાય છે ત્યાં આ દીકરાના નિઃસ્વાર્થ પ્રેમ અને સેવા ભાવે લોકોને "શ્રવણકુમાર" ની યાદ અપાવી દીધી હતી. મંદિરમાં હાજર અન્ય ભક્તો પણ આ નજારો જોઈને ભાવવિભોર થઈ ગયા હતા.સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો અને તસવીરો વાયરલ થતાં જ લોકો આ દીકરાના સંસ્કારો અને ભક્તિનાં મુક્ત મને વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો કોમેન્ટ્સ માં લખી રહ્યા છે કે માતા- પિતા નાં ચરણોમાં જ સ્વર્ગ સમાયું છે અને આ દીકરાએ માતૃભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડયુ છે. આમ મિલકત માટે મા-બાપ ને તરછોડનારા પણ છે અને ગરીબ હોવા છતાં મા-બાપ ની દિલથી સેવા કરનારા પણ આ જ સમાજનો એક ભાગ છે.




