
કોંગ્રેસ અને ભાજપથી વારંવાર છેતરાઈ રહેલી ગોવાની જનતાને રવિવારે ત્રીજો મજબૂત વિકલ્પ ‘‘ગોવા ફર્સ્ટ’’ ગઠબંધનના રૂપમાં મળી ગયો. આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી)ના પ્રમુખ વિજય સરદેસાઈની હાજરીમાં ગોવા વિધાનસભા ચૂંટણી પહેલાં ગઠબંધનની મોટી જાહેરાત કરી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ‘‘આપ’’ અને જીએફપીનું ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ગોવામાં ભાજપ અને કોંગ્રેસનો મજબૂત વિકલ્પ બનશે. ગણેશ ચતુર્થીના દિવસે અમે ગોવાની રાજનીતિમાં આ નવી શરૂઆત કરી રહ્યા છીએ. ગોવામાં આગામી સરકાર ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધનની બનશે. ત્રીજો વિકલ્પ ન હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસે મળીને ગોવાને બરબાદ કરી નાખ્યું. બે વખત ભાજપ અને કોંગ્રેસથી છેતરાઈ ચૂકેલી ગોવાની જનતા ત્રીજી વખત છેતરાવાના મૂડમાં નથી.
રવિવારે ગોવાના અબોલિમ હોલમાં ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ સાથે સંયુક્ત પ્રેસવાર્તા કરીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે એવું કહેવાય છે કે શુભ કાર્ય ગણેશજીનું નામ લઈને કરવું જોઈએ. તેથી ગણેશ ચતુર્થીથી વધુ સારો કોઈ અવસર હોઈ શકે નહીં. આજે અમે ગોવામાં ગોવા ફોરવર્ડ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત કરી રહ્યા છીએ, જેનું નામ ગોવા ફર્સ્ટ ગઠબંધન છે. આ ગઠબંધન બનાવવાની જરૂર એટલા માટે પડી કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ગોવાના લોકો જોઈ રહ્યા છે કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. તેઓ કાં તો કોંગ્રેસને મત આપીને જીતાડે છે અથવા ભાજપને મત આપે છે અને બંને પાર્ટીઓ વચ્ચે એક ગઠબંધન ચાલી રહ્યું છે. 2017માં લોકોએ ભાજપથી પરેશાન થઈને કોંગ્રેસને મત આપ્યો અને કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને વેચીને ભાજપની સરકાર બનાવડાવી. 2022માં ફરીથી લોકોએ ભાજપ વિરુદ્ધ મત આપ્યો, પરંતુ ફરીથી કોંગ્રેસે ભાજપને આંકડા આપ્યા અને ભાજપની સરકાર બનાવી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકો બે વખત છેતરાઈ ચૂક્યા છે અને હવે ત્રીજી વખત છેતરાવાના મૂડમાં નથી. લોકોને વિકલ્પ જોઈએ છે. એક તરફ કોંગ્રેસ, તો બીજી તરફ ભાજપ લોકોને છેતરી રહી છે. ચૂંટણી દરમિયાન ભાજપવાળા કોંગ્રેસને ખૂબ ગાળો આપે છે અને ત્યારબાદ એ જ કોંગ્રેસવાળાને લઈને સરકાર બનાવી લે છે. આજે ભાજપની સરકાર છે, પરંતુ તેમાં અડધાથી વધુ કોંગ્રેસીઓ છે. આ બંને પાર્ટીઓ એક રીતે મળીને છેતરપિંડી કરી રહી છે. અંદરખાને બંને વચ્ચે પ્રેમ-મોહબ્બત, સેટિંગ અને ડીલ છે. ગોવાના લોકો દુઃખી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ સરકારની કોઈ વિચારધારા નથી. આ ન તો ભાજપની સરકાર છે અને ન તો કોંગ્રેસની સરકાર છે. આ માત્ર પૈસાની સરકાર છે અને માફિયા રાજ છે. તેમના માટે માત્ર પોકેટ ફર્સ્ટ છે, જ્યારે અમારું ગઠબંધન ગોવા ફર્સ્ટ છે. આજે ગોવાના દરેક ક્ષેત્રમાં માફિયા રાજ છે, બિલ્ડર અને કોન્ટ્રાક્ટરો ગોવા પર રાજ કરી રહ્યા છે. આજે જો કોઈ ભાજપના લોકો સાથે વાત કરે, તો તેમને પાક્કી ખબર છે કે તેમની સરકાર આવવાની નથી અને તેમને બહુમતી મળવાની નથી. પરંતુ ભાજપવાળા બેશરમીથી ખુલ્લેઆમ કહે છે કે અમારી છ સીટ પણ આવી ગઈ, તો પણ સરકાર તો અમારી જ બનશે, કારણ કે કોંગ્રેસ છે ને.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ બંને મળીને ભાજપની સરકાર બનાવવા અંગે ખૂબ જ કોન્ફિડન્ટ છે. લોકો આ બદલવા માંગે છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસને છોડીને લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો. આજે પહેલીવાર ‘‘ગોવા ફર્સ્ટ’’ના રૂપમાં એક મજબૂત વિકલ્પ આવ્યો છે, જે એક બિન-ભાજપ અને બિન-કોંગ્રેસ ગઠબંધન છે. જે લોકો ભાજપને હરાવવા માંગે છે અને જે કોંગ્રેસની ચીટિંગથી કંટાળી ગયા છે, તે તમામ ‘‘ગોવા ફર્સ્ટ’’ ગઠબંધનને મત આપી શકે છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ નક્કી છે કે ભાજપને આ વખતે ચૂંટણીમાં બહુમતી મળી રહી નથી. એ પણ નક્કી છે કે કોંગ્રેસના જેટલા ધારાસભ્યો જીતશે, તેમાંથી મોટાભાગના ભાજપમાં જતા રહેશે અને ભાજપની સરકાર બનાવશે. આને રોકવા માટે જ ‘‘ગોવા ફર્સ્ટ’’ બનાવવામાં આવ્યું છે. આ કોઈ થિયોરેટિકલ ગઠબંધન નથી, આ જીતશે અને પોતાના દમ પર ‘‘ગોવા ફર્સ્ટ’’ની પૂર્ણ બહુમતીની સરકાર બનશે. આ એક ઈમાનદાર ગઠબંધન છે જે ગોવાના લોકો પ્રત્યે વફાદાર રહેશે. અત્યાર સુધી ન તો ભાજપ ગોવાના લોકો માટે વફાદાર હતી અને ન તો કોંગ્રેસ વફાદાર હતી.




