
૧૫ કે તેથી વધુ વર્ષના વયજૂથમાં બેરોજગારીનો દર વધ્યો: NSO માર્ચમાં બેરોજગારીનો દર આંશિક વધી ૫.૧% નોંધાયો બેરોજગારીની માસિક માહિતી માટે દેશવ્યાપી હાથ ધરાયેલાં સર્વે માટે કુલ ૩,૭૫,૨૬૨ લોકોના મંતવ્યો લેવાયાં હતાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધ સહિતની વૈશ્વિક અનિશ્ચિતતાઓની માઠી અસર ભારત સહિત વિશ્વના તમામ અર્થતંત્રો પર જાેવા મળી રહી છે. શહેરી વિસ્તારોમાં બેરોજગારીના ઊંચા પ્રમાણને પગલે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ૧૫ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર આંશિક વધી ૫.૧ ટકા રહેવા પામ્યો હતો.
ફેબ્રુઆરીમાં આ દર ૪.૯ ટકા નોંધાયો હતો તેમ સરકાર દ્વારા જારી કરાયેલાં આંકડામાં દર્શાવાયું છે. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરાયેલાં પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) અનુસાર, શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ફેબ્રુઆરીના ૬.૬ ટકાની તુલનાએ માર્ચ, ૨૦૨૬માં વધીને ૬.૮ ટકા રહેવા પામ્યો હતો. ગ્રામીણ વિસ્તારોની ૧૫ કે તેથી વધુ વયની મહિલાઓમાં બેરોજગારીનો દર માર્ચ મહિનામાં લગભગ સ્થિર રહેવા પામ્યો હતો, જ્યારે આ વયજૂથના પુરુષોમાં આ દર ફેબ્રુઆરીની તુલનાએ સહેજ વધ્યો હતો.બેરોજગારીની માસિક માહિતી માટે દેશવ્યાપી હાથ ધરાયેલાં સર્વે માટે કુલ ૩,૭૫,૨૬૨ લોકોના મંતવ્યો લેવાયાં હતાં. ૧૫ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા શહેરી લોકો સંબંધિત અર્બન લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર) માર્ચ મહિનામાં ૫૫.૪ ટકા નોંધાયો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં આ દર ૫૫.૯ ટકા રહેવા પામ્યો હતો.




