
જૂના મૃતદેહને કાઢવા મજબૂર પેશાવરમાં કબ્રસ્તાન માટે જગ્યાની અછત સર્જાઈ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે નવી લાશ દફનાવવા માટે જૂની કબરો ખોદીને હાડપિંજરો બહાર કાઢવા પડી રહ્યા છે પાકિસ્તાનમાં ખાસ કરીને ખ્રિસ્તી,શીખ સહિતના સમુદાયના લોકોની સ્થિતિ દયનીય બની રહી છે. એક અહેવાલ મુજબ, પેશાવરમાં ખ્રિસ્તી સમુદાયને પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે કબ્રસ્તાનમાં જગ્યા શોધવા માટે લોઢાના ચણા ચાવવા પડી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે નવી લાશ દફનાવવા માટે જૂની કબરો ખોદીને હાડપિંજરો બહાર કાઢવા પડી રહ્યા છે.
પેશાવરમાં કોલેજ લેક્ચરર ઇમરાન યુસુફ મસીહે પોતાનું દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કબ્રસ્તાનોમાં જગ્યાની ભારે અછતને કારણે પરિવારોએ પોતાના પ્રિયજનોને દફનાવવા માટે ભીડભાડવાળી જગ્યાઓ અથવા તો જૂની કબરોનો ફરીથી ઉપયોગ કરવો પડે છે. ઘણીવાર દફનવિધિ સમયે જૂના મૃતદેહોના અવશેષો નીકળે છે, જે પરિવારો માટે અત્યંત પીડાદાયક અને માનસિક રીતે તોડી નાખનારો અનુભવ હોય છે. આ સમસ્યાને કારણે ક્યારેક પરિવારો વચ્ચે વિવાદો પણ સર્જાય છે.
આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ માત્ર વસ્તી વધારો જ નથી, પરંતુ જમીન માફિયાઓનો આતંક પણ છે. ગોરા, વઝીર બાગ, કોહાટી અને નૌથિયા જેવા ઐતિહાસિક કબ્રસ્તાનો, જે ૧૯૪૭ પહેલાના છે, તે હવે ફૂલ થઈ ગયા છે. બાકી બચેલી જમીનો પર માફિયાઓએ ગેરકાયદેસર કબજાે જમાવી લીધો છે. સરકારી કર્મચારી ઝુલ્ફિકાર મસીહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓને સમાન નાગરિક માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તેમને સન્માનજનક અંતિમ વિદાય પણ નસીબ નથી થઈ રહી.
૨૦૨૩ની વસ્તી ગણતરી મુજબ પાકિસ્તાનમાં લઘુમતીઓની વસ્તી ૩.૩% છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (ઁ્ૈં) જેવી રાજકીય પાર્ટીઓએ આ મુદ્દે અનેક વાર વચનો આપ્યા છે, પરંતુ જમીની હકીકત શૂન્ય છે. સામાજિક કાર્યકર હારૂન સરબદ્યાલે જણાવ્યું કે, લઘુમતી કબ્રસ્તાનો માટે ફાળવવામાં આવેલા ફંડનો કોઈ નક્કર ઉપયોગ થયો નથી. વળી, સરકાર જે જમીન આપવાની વાત કરે છે તે શહેરોથી એટલી દૂર છે કે ત્યાં પહોંચવું અને સુરક્ષા જાળવવી સામાન્ય લોકો માટે અશક્ય છે.
ખૈબર પખ્તુનખ્વા સરકારમાં લઘુમતીઓનું યોગ્ય પ્રતિનિધિત્વ ન હોવાને કારણે તેમની પીડા સત્તાના ગલિયારા સુધી પહોંચતી જ નથી.
આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકારની વાતો કરતું પાકિસ્તાન પોતાના જ દેશના લઘુમતીઓને પાયાના અધિકારો આપવામાં નિષ્ફળ સાબિત થયું છે. પેશાવરની આ ઘટના એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ માત્ર જીવતા જ નહીં, પણ મૃત્યુ પછી પણ સંઘર્ષ કરી રહ્યા છે.




