
વૈશ્વિક પડકારો વચ્ચે સરકાર એક્શન મોડમાં યુરિયા-ડીએપીથી ભરચક ૧૫ જેટલાં જહાજાે ભારત આવવા રવાના થયા ખાતરના કારખાનાઓને અપાતો નેચરલ ગેસનો સપ્લાય, જે થોડા સમય પહેલાં ઘટીને ૬૫% સુધી પહોંચી ગયો હતો, તે હવે ફરીથી ૧૦૦% પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં ભારત માટે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ખાતર અને કાચો માલ લઈને આવી રહેલા ૧૫ ભારતીય જહાજાે સૌથી સંવેદનશીલ ગણાતી ‘હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડેલી ગંભીર અસરો વચ્ચે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, દેશમાં ખાતર અને તેનો કાચો માલ લઈને આવી રહેલા ૧૫ દરિયાઈ જહાજાે અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે અને ભારત તરફ આગળ વધી રહ્યા છે. સરકારના આ સઘન પ્રયાસોને કારણે દેશમાં ખેડૂતો માટે ખાતરની અછતનો મોટો ખતરો ટળી ગયો છે.કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે, “પશ્ચિમ એશિયાના સંઘર્ષે વૈશ્વિક સપ્લાય ચેઈનને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ વધ્યા છે અને શિપમેન્ટ પહોંચવાના સમયમાં પણ વિલંબ થઈ રહ્યો છે.” તેમણે ઉમેર્યું કે, આ મુશ્કેલ સમયમાં વિદેશોમાં આવેલા ભારતીય મિશનો (દૂતાવાસો) એ ખાતર વિભાગને વૈશ્વિક ઉત્પાદકો અને સપ્લાયર્સ સાથે સીધો સંપર્ક સાધવામાં સક્રિય મદદ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોના હિતોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છે.સરકાર માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે, ખાતરના કારખાનાઓને અપાતો નેચરલ ગેસનો સપ્લાય, જે થોડા સમય પહેલાં ઘટીને ૬૫% સુધી પહોંચી ગયો હતો, તે હવે ફરીથી ૧૦૦% પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સ્થાનિક સ્તરે ખાતરનું ઉત્પાદન પણ વેગ પકડશે.ખાતર મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલ ૧૯૭.૫૬ લાખ મીટ્રિક ટન ખાતરનો સ્ટોક જમા કરી લેવામાં આવ્યો છે. આ સ્ટોક દેશની વાર્ષિક ૩૮૩.૯ ન્સ્ ખાતરની જરૂરિયાતના ૫૧% કરતા પણ વધારે છે. આમ, આયાત અને સ્થાનિક ઉત્પાદનના સમન્વયથી આગામી સમયમાં દેશભરમાં ખાતરની કોઈ અછત સર્જાશે નહીં.




