
ચીનની ચાલબાજીનો ભારતે આપ્યો સજ્જડ જવાબ ઓફિશિયલ મેપમાં અરુણાચલ પ્રદેશની ૨૭ જગ્યાના નામ સામેલ૧૯૫૯ અને ૧૯૬૨ના યુદ્ધના ઐતિહાસિક સ્થળો લોંગ જૂ અને થાગ લાનો પણ સમાવેશ કરાયો છે
ભારતે ચીનની ચાલબાજીઓ સામે કડક વલણ અપનાવતા એક મોટો ર્નિણય લીધો છે. ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશના સ્થળોના નામો વારંવાર બદલવાના પ્રયાસો સામે ભારતે શુક્રવારે રાજ્યના ૨૭ સ્થળો અને તેમની ભૌગોલિક વિશેષતાઓને ભારતના સત્તાવાર નકશામાં માનક નામો સાથે સામેલ કરી દીધા છે.
ભારતીય સર્વેક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ આકરા પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારોની ચોક્કસ ઓળખ જાળવી રાખવો અને લોકોમાં સ્પષ્ટ જાગરૂકતા ઊભી કરવાનો છે, જેથી ચીનના દાવાઓ સામે ભારતનો સત્તાવાર પક્ષ વધુ મજબૂત બને.
અરૂણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાની ચીનની ચાલાકીઓને ભારતે હંમેશા સખત શબ્દોમાં ફગાવી દીધી છે. ભારતે ચીનના આ પગલાંને સંપૂર્ણપણે નકામા ગણાવતા સ્પષ્ટ કર્યું છે કે આવી અટકળોથી એ અટલ સત્ય ક્યારેય બદલાશે નહીં કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અંગ હતો, છે અને રહેશે. ચીનનું સિવિલ અફેર્સ મંત્રાલય અરૂણાચલ પ્રદેશને ઝાંગનાન કહીને પોતાના કાલ્પનિક નામો આપવાનો પ્રયાસ કરતું રહે છે. તેણે ૨૦૧૭માં ૬ સ્થળો, ૨૦૨૧માં ૧૫ સ્થળો અને ૨૦૨૩માં અન્ય ૧૧ સ્થળોના નામ બદલવાની યાદીઓ પણ જાહેર કરી હતી. જાેકે, ભારતનું સ્પષ્ટ માનવું છે કે ચીન દ્વારા ઘડવામાં આવતા આવા ખોટા વિવાદોથી બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની કોશિશો પર માઠી અસર પડે છે.
ભારતના સત્તાવાર મેપમાં સામેલ કરાયેલા ૨૭ સ્થળોમાં લાઈન ઓફ કંટ્રોલ (LAC) પાસે આવેલું લોંગ જૂ પણ સામેલ છે. આ એ જ ક્ષેત્ર છે જ્યાં ૧૯૫૯માં ભારત અને ચીન વચ્ચે શરૂઆતી ઘર્ષણ થવાની ઘટના બની હતી, જ્યારે ચીની સેનાએ આ વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત, અપર સુબનસિરી જિલ્લામાં લોંગ જૂ પાસે આવેલું માજા ગામ પણ મેપમાં માર્ક કરાયું છે.
આ યાદીમાં બિસા ગામ ઉપરાંત રણનીતિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વતીય પાસ ડ્જાે લા, રિજા લા, પુકુર લા અને થાગ લાને પણ સામેલ કરવામાં આવ્યા છે. થાગ લા એ જ ક્ષેત્ર છે જ્યાં વર્ષ ૧૯૬૨ના યુદ્ધની શરૂઆતી લડાઈ થઈ હતી. આ યાદીમાં ચાંગલાંગ જિલ્લાના મહત્ત્વના લોજિસ્ટિક્સ સેન્ટર જયરામપુરનો પણ સમાવેશ થાય છે, જેને પૂર્વ સીમા ક્ષેત્રનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. તે સુરક્ષા દળોની અવરજવરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સિવાય પૂર્વ અરૂણાચલ પ્રદેશમાં આવેલા શંભૂ સરોવર, બડા કુંડુન અને છોટા કુંડુન તેમજ ધન બાડી, પ્રીતનગર, તેરિતનગર અને તવાંગ રોડ પર સ્થિત રામનગર જેવા સ્થળોને પણ જાેડાણ મળ્યું છે.
૧૯૬૨ના યુદ્ધના નાયક ત્રિલોક સિંહ થાપાની યાદમાં બનાવાયેલું શેર-એ-થાપા સ્મારક, શહીદ જસવંત સિંહ રાવતનું સ્મારક ધરાવતું જસવંતગઢ, સાગર, પદ્મા, જ્યોતિનગર, બૈસાખી ગામ, છોટા રોપુક, બડા રોપુક, શિવાજી નગર, સુનપુરા, કમલાંગ નગર અને બુદ્ધ મંદિર જેવા સ્થળોને પણ હવે ભારતના ઓફિશિયલ મેપમાં સ્થાન આપીને ચીનને સ્પષ્ટ સંદેશ આપી દેવાયો છે.




