
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, મેંદરડા તાલુકા પ્રમુખ કિશોરભાઈ પાનસુરીયા, મેંદરડા તાલુકા સંગઠન મંત્રી ભરતભાઈ બેરીયા, મહિલા પ્રમુખ જૂનાગઢ લોકસભા આરતીબેન ઢોલરીયા, શૈલેષભાઈ પરમાર, યુવા સંગઠન મંત્રી ધ્રુવીન મહેતા, જૂનાગઢ વિધાનસભા સંગઠન મંત્રી પ્રવીણભાઈ મકવાણા અને કિશોરભાઈ સાવલિયાની ઉપસ્થિતિમાં મેંદરડા તાલુકાના સાસણ ક્લસ્ટર અંતર્ગત આવેલી શ્રી ભગવતી આદિજાતિ આશ્રમશાળામાં કથિત બોગસ એલ.સી., વયપત્રક, હાજરી પત્રક અને અન્ય દસ્તાવેજોના આધારે સરકારી ગ્રાન્ટની ઉચાપત અંગે ગંભીર બાબત સામે આવી છે. તેમણે જણાવ્યુ હતુ કે શાળાના ચોપડા અને ઓનલાઈન રેકોર્ડમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવામાં આવે છે, પરંતુ સ્થળ પર વાસ્તવિક વિદ્યાર્થીઓની સંખ્યા અંગે ગંભીર સવાલો ઊભા થાય છે. કેટલાક એવા બાળકોના નામ પણ રેકોર્ડમાં હોવાનો આક્ષેપ છે જેમના અસ્તિત્વ અંગે જ પ્રશ્નો છે. આ ઉપરાંત પૂરતા શિક્ષકોની હાજરી વિના વિદ્યાર્થીઓના નામે નિભાવ ગ્રાન્ટ, સ્ટેશનરી, યુનિફોર્મ તથા અન્ય સુવિધાઓ માટે મળતી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને નાણાંની રિકવરીની માંગ કરવામાં આવી હતી.
આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમારો સીધો પ્રશ્ન છે કે જે બાળકોનો જન્મ જ થયો નથી તેમના જન્મના દાખલા, વયપત્રક અને એલ.સી. કેવી રીતે તૈયાર થયા? અમને વયપત્રકની નકલ આપવામાં આવી છે, પરંતુ પ્રિન્સિપાલ પાસે માંગણી કરવા છતાં હજુ સુધી એલ.સી. બુક આપવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે આ શાળાની મુલાકાત આદિજાતિ કમિશનર, બી.ઈ.ઓ., ટી.પી.ઓ., ડી.પી.ઓ., બી.આર.સી. અને સી.આર.સી. સહિતના અધિકારીઓ દ્વારા લેવામાં આવી હોવાના રેકોર્ડ ઉપલબ્ધ છે. ત્યારે પ્રશ્ન એ છે કે આ તમામ મુલાકાતો દરમિયાન જો રેકોર્ડમાં દર્શાવાતા વિદ્યાર્થીઓ વાસ્તવમાં હાજર ન હોય, તો અધિકારીઓની મુલાકાત દરમિયાન આ “અદૃશ્ય બાળકો” કેવી રીતે દૃશ્યમાન બન્યા? પક્ષે સરકાર અને સંબંધિત અધિકારીઓ પાસે મુલાકાતોની નોંધ, એલ.સી. બુક, વયપત્રક તથા વિદ્યાર્થીઓના આધાર આધારિત વેરિફિકેશનની ઉચ્ચસ્તરીય તપાસ કરી જવાબદાર સંચાલકો, અધિકારીઓ અને અન્ય સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.




