
ડુંગળીના ભાવ પ્રતિ કિલો ભાવ ૮૦ રૂપિયા સરકારના ઉપાયો પણ નિષ્ફળ, ડુંગળીના ભાવ આકાશ આંબ્યા સરકારના ઉપાયો નિષ્ફળ થતા છૂટક વેપારીઓ નફાખોરી કરી રહ્યા છે : નવો પાક ન આવે ત્યાં સુધી ભાવ વધવાની શક્યતા
દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. શ્રાવણમાં ઘટેલી માંગ અને પૂરતી આવકે ડુંગળીના ભાવને થોક (જથ્થાબંધ) માર્કેટમાં નિયંત્રણમાં રાખ્યા, પરંતુ રિટેલમાં વેપારીઓ નફાખોરી કરવામાં ચૂક નથી રહ્યા. નાસિકમાં ડુંગળીના જૂના સ્ટોકની અછતની અસર હવે બજાર પર દેખાવા લાગી છે. ભાવો પર નિયંત્રણ લાવવાના સરકારના ઉપાયો નિષ્ફળ થઈ રહ્યા છે અને દેશના અલગ-અલગ રાજ્યોમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. દિલ્હી-એનસીઆરમાં રિટેલ ડુંગળી ૫૦થી ૫૫ રૂપિયા કિલો વેચાઈ રહી છે, પરંતુ ખુલ્લા બજારમાં ૬૦ થી ૭૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. કેટલાક રાજ્યોમાં ડુંગળીના ભાવ ૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે.
કાનપુરની ચકરપુર મંડીમાં ડુંગળીની દૈનિક આવક ૬.૫૦ લાખ કિલોથી ઘટીને પાંચ લાખ કિલો રહી ગઈ છે, જેનાથી જથ્થાબંધ ભાવ વધીને ૪૨-૪૫ રૂપિયા કિલો પહોંચી ગયો છે. ચકરપુર મંડી શાકભાજી વ્યાપાર મંડળના અધ્યક્ષ સૌરભ પાંડેયે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં જ લગભગ ૧૦ રૂપિયા સુધીનો ભાવ વધી ચૂક્યો છે.
હવે મધ્ય પ્રદેશના શિવપુરી અને રાજસ્થાનના અલવરથી ટ્રકો દ્વારા સીમિત માત્રામાં ડુંગળી આવી રહી છે. નવો પાક આવે ત્યાં સુધી બજારમાં તેજી રહેશે.
આગ્રાની સિકંદરા મંડીમાં નાસિકથી રોજ લગભગ ૧૫ ટ્રક ડુંગળી (ત્રણ લાખ કિલો) આવવાના કારણે જથ્થાબંધ ભાવ હાલમાં ૪૦ રૂપિયા કિલો છે. વેપારી મનોજ કાલરાનું કહેવું છે કે, આગામી અઠવાડિયાથી માગ વધી તો કિંમતોમાં કઈંક વધારો જાેવા મળી શકે છે.
કાનપુરની ચકરપુર મંડીમાં અત્યાર સુધી દરરોજ ૬.૫૦ લાખ કિલોગ્રામ ડુંગળીનો પુરવઠો થતો હતો, પરંતુ છેલ્લા ૧૦ દિવસથી આ પાંચ લાખ કિલો જ રહી ગયો છે. અહીંથી પૂર્વાંચલના જિલ્લાઓ સુધી ડુંગળીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જ્યારે લગભગ ૫૦ ટન એટલે કે ૫૦ હજાર કિલો માલનો વપરાશ કાનપુર અને આસપાસના જિલ્લાઓમાં થાય છે.
વર્તમાનમાં મંડીમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ વધીને ૪૨ થી ૪૫ રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે, જે બુધવારે ૩૫થી ૪૦ રૂપિયા હતો. આવક ઓછી થવાથી ડુંગળીના ભાવ ૧૦ રૂપિયા પ્રતિ કિલો વધી શકે છે.
બંગાળમાં બે અઠવાડિયા પહેલા જે ડુંગળી ૩૦ થી ૩૫ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી હતી, તે હાલમાં ૭૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. રાજસ્થાનમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની કિંમત ૫૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
જમ્મુમાં ડુંગળીની કિંમત ૬૦ રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગળીના ભાવમાં છેલ્લા ૧૫ દિવસમાં ૨૦ થી ૨૫ રૂપિયાનો વધારો થયો છે. દેહરાદૂન મંડીમાં ડુંગળી ૬૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. હરિદ્વારની જ્વાલાપુર મંડીમાં ડુંગળી ૫૦ રૂપિયા પ્રતિ કિલો છે.
હલ્દવાની મંડીમાં ડુંગળી ૪૬ થી ૫૦ રૂપિયા પ્રતિ કિલો છે, ઉધમ સિંહ નગરની રૂદ્રપુર મંડીમાં ડુંગળી ૩૫ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલો છે. પટનાના મીઠાપુર અને બજાર સમિતિમાં શુક્રવારે ડુંગળી ૫૫ રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઈ હતી.




