
સાબરકાંઠાથી ૯ દિવસની બાળકીની તસ્કરી.બાળકીની તસ્કરી કરીને બે લાખમાં અમદાવાદમાં વેચી દીધી.એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે એજન્ટ સહિત પાંચ જણાને ઝડપી લીધા : પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.સાબરકાંઠાના અંતરિયાળ ખેડબ્રહ્મા પંથકમાં રહેતા એક શખ્સે ૧પ દિવસ અગાઉ નવ દિવસની બાળકીને ઉપાડી જઈ અમદાવાદમાં રૂ.ર લાખમાં વેચી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રવિવારે બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાંચ જણા સામે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં માનવ તસ્કરીનો ગુનો નોંધાવી પાંચેયને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે જણાવ્યા મુજબ, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેની વિગત એવી છે કે, બે અઠવાડિયા અગાઉ ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી નવજાત બાળકોની તસ્કરીમાં સંડોવાયેલો છે, તેવી બાતમીના આધારે ટીમે માલજીને ખેડબ્રહ્માના મટોડા ગામથી ઝડપી પાડ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન માલજીએ કબૂલ્યું હતું કે, તેણે લગભગ પંદર દિવસ પહેલાં મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક વ્યક્તિને રૂ.૨ લાખમાં વેચી દીધું હતું. પ્રાથમિક તપાસમાં વિગતમાં તથ્ય જણાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જે બનાવ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.સાબરકાંઠા એ.એચ.ટી.યુ. ટીમને બાળ તસ્કરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાળક વાંચ્છુ પરિવારો પાસેથી લાખો રૂપિયા લઈને તેમને નાના બાળકો વેચી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે થોડાક મહિના અગાઉ પણ હિંમતનગરના આરટીઓ નજીકથી એક પરિવારના સુઈ રહેલા બાળકને અજાણ્યા શખ્સોએ ચોરી કરી તેને વેચી દેવાની પેરવી કરી હતી પરંતુ પરિવાર અને સાબરકાંઠા પોલીસની મદદથી આ બાળકને તેના મુળ માતા-પિતાને સુપ્રત કરાયું હતું.




