
સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો ભાવનગર અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર, વીરપુર, સેવડીવદર અને ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવતાં આજે ભાવનગર અને અમરેલી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભાવનગરના જેસર અને તળાજા પંથક સહિત અમરેલીના ખાંભા તાલુકામાં વરસેલા આ વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ૩ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ૭ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, જ્યારે જુલાઈ મહિનાની શરૂઆતથી મેઘરાજા સમગ્ર ગુજરાતમાં જાેરદાર જમાવટ કરશે.
વરસાદની વિગતવાર વિગતો મુજબ, ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર, વીરપુર, સેવડીવદર અને ચોક સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તળાજા તાલુકાના કુંઢેલી, સાંગાણા, દેવળીયા, માખણીયા, ઠાડચ અને ઠળિયા ગામોમાં પણ સારો વરસાદ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.
બીજી તરફ, અમરેલી જિલ્લાના ખાંભા શહેર તેમજ તેના આજુબાજુના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદના પગલે લાંબા સમયથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા શહેરી નાગરિકોને મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી નવીનતમ માર્ગદર્શિકા મુજબ, આજે રાજ્યના ૨૧ જિલ્લા અને ૩ સંઘ પ્રદેશોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનશે. મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મેઘમહેર જાેવા મળશે.



