
૧૧૦ કિલોમીટર સુધીના ઝડપે પવન ફૂંકાયો: દરિયામાં ઊંચાં મોજાં ઉછળ્યાં વાવાઝોડું ‘મોન્થા’ વિનાશક સ્વરૂપમાં આંધ્રના દરિયાકાંઠે ટકરાયું: ભારે વરસાદ આ વાવાઝોડાએ આંધ્રપ્રદેશમાં જ ૩૮,૦૦૦ હેક્ટરના ઊભા પાક ઉપરાંત ૧.૩૮ લાખ હેક્ટરના હોર્ટિકલ્ચર પાકનો નાશ કર્યો
વાવાઝોડા ‘મોન્થા’એ મંગળવારે સાંજે વિનાશક રૂપ સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું હતું. જેને પગલે કલાકદીઠ ૯૦થી ૧૧૦ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો. આ પ્રક્રિયા મોડીરાત્રિ સુધી ચાલુ રહી હતી. એ પછી વાવાઝોડું કાકિનાડાની ફરતે મચિલિપટનમ અને કનિંગપટનમ પર વિનાશ રેલાવી ગયું હતું. દરિયામાં અનેક ફુટ ઊંચા મોજા ઉછળ્યા હતા.આ વાવાઝોડાએ સવારથી તેની ગતિ પકડી હતી. જેને પગલે આંધપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. તેની અસર પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં દેખાશે. જાેકે આ તમામ રાજ્યોમાં એલર્ટ જારી કરાયું છે. આંધ્ર, ઓડિશ, તમિલનાડુ, છત્તીસગઢ અને પુડુચેરીમાં એનડીઆરએફની ૨૫ ટીમો તૈનાત કરી દેવાઇ છે. આ રાજ્યોમાં તીવ્ર પવન સાથે વરસાદ પડ્યો હતો. આ રાજ્યોમાં પાકને વધુ અસર થઇ છે. આ વાવાઝોડાએ માત્ર આંધ્રપ્રદેશમાં જ ૩૮,૦૦૦ હેક્ટરના ઊભા પાક ઉપરાંત ૧.૩૮ લાખ હેક્ટરના હોર્ટિકલ્ચર પાકનો નાશ કરી દીધા છે. આંધ્રમાંથી આશરે એક લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સાત જિલ્લાઓમાં વાહનની અવર-જવર અટકાવી દેવાઇ છે. આ વાવાઝોડાની અસરમાં ઓડિશાના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે ભેખડો ધસી પડવાની અને ઘરોને નુકસાન પહોંચવાની ઘટનાઓ બની છે.
અનેક ઝાડ જળથી ઉખડી ગયા છે. ઓડિશાના સીએમ મોહન માંઝીએ કહ્યું હતું કે તેમની સરકાર કોઇ પણ પ્રકારના પડકારોનો સામનો કરવા સજ્જ છે. રાજ્યમાં ૨,૦૦૦થી વધુ ડિઝાસ્ટર રિલીફ કેમ્પ ખોલવામાં આવ્યા છે. આ રાજ્યોમાં જતી ૧૫૦થી વધુ ટ્રેનો રદ કરાઇ છે અને અન્ય ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરાયા છે. ૫૦ જેટલી ફ્લાઇટ્સ રદ કરાઇ છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. કાકીનાડાથી શરૂ થયેલું આ વાવાઝોડું હવે દક્ષિણ બંગાળના ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણા, પૂર્વ અને પશ્ચિમી મેદિનીપુર, ઝારગ્રામ, પુરુલિયા, પૂર્વ અને પશ્ચિમ બર્ધમાન, બીરભૂમિ અને મુર્શિદાબાદ જિલ્લામાં પહોંચશે. હિમાલયના નજીકના જિલ્લા દાર્જિલિંગ, જલપાઇગુડી અને કૂચબિહારમાં પણ શુક્રવારે ભારે વરસાદ પડવાનો અંદાજ છે. જાેકે હવામાન વિભાગે કહ્યું છે કે આ ભીષણ ચક્રવાતી તોફાન ગુરુવાર સુધી નિમ્ન દબાણમાં આવી જતાં નબળું પડવાની સંભાવના છે. આમ ગુરુવાર અને શુક્રવાર સુધી તેની અસર ઓછી થવા લાગશે. આ વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે કે ખુવારી થઇ છે તેનો કોઇ અંદાજ હાલમાં શક્ય નથી. આ વાવાઝોડાની અસર દેશમાં ત્રણ દિવસ રહેવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા ત્રાટકવાની સંભાવના ધરાવતાં તમામ રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.




