
યુપીના ડે. CM દાવાથી રાજકીય ગરમાવો! સપાના ૨૫-૨૬ સાંસદો ભાજપમાં જાેડાવા તૈયાર અખિલેશના સાંસદો આપોઆપ પક્ષ છોડી દેશે : કેશવ પ્રસાદ મૌર્ય મહારાષ્ટ્રમાં શિવસેના અને પશ્ચિમ બંગાળમાં TMC માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે ચોંકાવનારો દાવો કર્યો છે કે, સમાજવાદી પાર્ટીના ૨૫થી ૨૬ સાંસદો હાલમાં પક્ષ બદલવા અને પાર્ટી તોડવા માટે સંપૂર્ણ તૈયાર બેઠા છે. મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરેના પક્ષોમાં થયેલા ભંગાણ બાદ હવે અખિલેશ યાદવની પાર્ટીનો વારો હોવાના ભાજપ નેતાઓના દાવા વચ્ચે આ નિવેદન આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે સ્પષ્ટ કહ્યું કે, ભાજપ અત્યારે સપાને પોતાની મેળે નથી તોડી રહી. વર્ષ ૨૦૨૭ની યુપી વિધાનસભા ચૂંટણી સુધીમાં આ નેતાઓ પોતાના આંતરિક વિખવાદના કારણે આપોઆપ જ પક્ષ છોડીને ચાલ્યા જશે.
આ અગાઉ, રાજ્ય સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં બહુ મોટું ભંગાણ થવાનું છે. રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ સોંપ્યો છે. તેમણે ખનન અને ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આખો યુપી તેના માસ્ટરમાઇન્ડને જાણે છે અને કાયદાકીય સકંજાે કસાવાના ડરથી આખી સપા ભાજપમાં જાેડાવા તૈયાર બેઠી છે. આ તરફ યુપીના મંત્રી મનોજ પાંડેયે પણ કટાક્ષ કર્યો કે, સત્તામાં હતા ત્યારે લોકોને ભગાડનારી સપા સાથે આજે કોઈ રહેવા માંગતું નથી.
ભાજપના આ તમામ દાવાઓ પર સમાજવાદી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને સપા ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેયે લખનઉમાં વળતો પ્રહાર કરતા કહ્યું કે, ઓમ પ્રકાશ રાજભર પોતે પોતાનામાં જ એક મોટો સ્કેમ છે. જ્યારે સપા નેતા રવિદાસ મેહરોત્રાએ રાજભરને બેમોઢાવાળા ગણાવીને કહ્યું કે, તેઓ માત્ર મંત્રી પદ બચાવવા આવા નિવેદનો આપે છે. ૨૦૨૭માં અખિલેશ યાદવના નેતૃત્વમાં જ સરકાર બનશે અને સપાનો એક પણ નેતા ભાજપમાં નહીં જાય.



