
કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે! મથુરામાં ૬ ડિસેમ્બરે કારસેવાની સંતોની જાહેરાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંજૂરી આપે તો પ્રાણ આપવા પણ તૈયાર હોવાનું સંતોએ જણાવ્યું હતું મથુરા ખાતે આવેલા શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ અંગે સાધુ-સંતોએ મોટી જાહેરાત કરી છે. મથુરામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી એકઠા થયેલા સંતોએ આગામી ૬ ડિસેમ્બરના રોજ મથુરામાં કારસેવા કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
આ કાર્યક્રમ દરમિયાન સંતોએ “કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે” અને “રામ જન્મભૂમિ બાદ કાશી અને હવે મથુરાનો વારો છે” જેવા આક્રમક નારા લગાવ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંજૂરી આપે. અમે શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવા માંગીએ છીએ. આગામી મહિને અમે જન્મભૂમિ તરફ કૂચ કરીશું અને શ્રી કૃષ્ણ જન્મસ્થાનને મુક્ત કરાવીને જ જંપીશું. પોતાના પ્રાણની આહુતિ આપીને પણ અમે ભગવાન શ્રી કૃષ્ણને મુક્ત કરાવીશું.
સંતોના આ એલાન બાદ મથુરા અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર અને પોલીસ અલર્ટ થઈ ગઈ છે.
કાર્યક્રમ દરમિયાન સ્વામી સચ્ચિદાનંદે પોલીસ અને સ્થાનિક પ્રશાસનના વલણ સામે ભારે અસંતોષ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તંત્ર સંતોને આ આયોજન કરતા રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમારા સાધુ અને સંતોને પ્રશાસને રોકવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ અધિકારીઓ અમારી સાથે અયોગ્ય વ્યવહાર કરી રહ્યા છે અને તેની સત્તાવાર ફરિયાદ અમે જીજીઁને કરી છે. તંત્રના દબાણ હેઠળ આ કાર્યક્રમ અટકશે નહીં. શિલા પૂજન કાર્યક્રમ માટે જે પથ્થરો લાવવામાં આવ્યા હતા, તેને પણ રાતોરાત અચાનક ગાયબ કરી દેવામાં આવ્યા છે. અમે CCTV કેમેરાના ફૂટેજ તપાસીશું કે આખરે આ બધું કેવી રીતે ગાયબ કરી દેવાયું.
વિશાળ સંખ્યામાં સાધુ-સંતો આ આયોજનમાં સામેલ થયા હતા અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રશાસનિક રોકટોક હોવા છતાં આંદોલન અટકશે નહીં. ૬ ડિસેમ્બરની તારીખ અને કારસેવાની જાહેરાતે ઉત્તર પ્રદેશના રાજકારણમાં અને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.




