
માનસ રત્નાવલીનાં સાતમા દિવસની કથામાં પ્રવેશ કરતાં પૂજ્ય બાપુએ કહ્યું કે, તુલસી અને રત્નાવલી બંનેની વચ્ચે જડતાં નથી, પરંતુ એક પ્રવાહ છે. બંનેનાં સંગમનું અને બંનેના વિયોગનું કારણ પણ એક પ્રવાહ છે, અને એ પ્રવાહ યમુનાજીનો છે. યમુના એ તુલસી અને રત્નાજી નો સંગમ છે, એક પ્રકારનો સેતુ છે. બે ચેતના વચ્ચે જ્યારે જડતા સેતુ બને, ત્યારે બંને ચેતના પરમ તત્વની યાત્રાથી દૂર રહે છે, પરંતુ અહીં સેતુ યમુનાનાં રૂપમાં પ્રવાહમાન છે. યમુનાજી ત્રણ વસ્તુ પ્રદાન કરે છે, અને ત્રણ વસ્તુનો નાશ કરે છે. એવો આ યમનાનો પ્રવાહ ખૂબ જ પ્રેરણાપદ છે, માર્ગદર્શક છે. આ પ્રવાહને કારણે તુલસી અને રત્નાવલી બંનેનામાં ત્રણ ત્રણ વસ્તુ આવી અને ત્રણ વસ્તુ ગઈ.
યમુના ને કારણે રત્નાવલી અને ગોસ્વામીજી વચ્ચે નિરંતર પ્રેમની વૃદ્ધિ થઈ છે, કારણ કે યમુનાનો એક સ્વભાવ આપણાં પ્રેમને પરમચેતના પ્રત્યે વૃદ્ધિ કરાવનાર છે, એટલે કે પ્રેમ વૃદ્ધિ કરવી એ યમુનાનો મૂળ સ્વભાવ છે. શ્રીમન મહાપ્રભુજી વલ્લભાચાર્ય યમુનાષ્ટકમાં કહે છે, યમુના મુકંદના ચરણોમાં રતિવર્ધન કરવાનું કામ કરે છે, પરમ તત્વ પ્રત્યેની પ્રીતિમાં વૃદ્ધિ કરે છે. યમુનાને નદી સ્વરૂપે જોઈએ, તો એમાં જે રીતે પુર આવે એ રીતે મુકુંદનાં ચરણોમાં પ્રીતિ પણ વધે છે. કહેવાતી કથા મુજબ જ્યારે યમુનામાં પુર આવ્યું, ત્યારે જ તુલસી રત્નાવલીને મળવાં ગયા હતાં તો ભગવત ચરણમાં રતિ વૃદ્ધિનું એક કારણ યમુના છે.
નમામિ યમુનામહં સકલ સિધ્ધિ હેતુ મુદા,
મુરારી પદ પંકજ સ્ફુરદમન્દ રેણુત્કટામ.
બીજું લક્ષણ, યમુના સિદ્ધિ પ્રદાન કરે છે. હનુમાન ચાલીસાની પંક્તિ મુજબ સાધકને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પ્રાપ્ત થાય છે. થોડું રૂપમાં જુઓ તો પણ યમુના સિદ્ધિદાતા છે વ્યાસપીઠની રુચી સિદ્ધિમાં નથી એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ, પરંતુ જીવનમાં આઠ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ, અને એ અષ્ઠ શુદ્ધિ જ સાધકની સિદ્ધિ છે. વાણીની શુદ્ધિ, યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. જેમની વાણી શુદ્ધ છે, એમની પાસે સિદ્ધિ છે. કોઈએ લાઓત્સેને પૂછ્યું કે જિંદગી કોનાથી બગડે છે, અને કોનાથી સુધરે છે? તો એમણે કહ્યું બંનેનું કારણ જીભ છે. આપણે ત્યાં પણ કહેવાયું છે સત્ય બોલવું પરંતુ પ્રિય બોલો. મનની શુદ્ધિ, જેટલી માત્રામાં મન શુદ્ધ રહે, એ બહુ જરૂરી છે. બુદ્ધિની શુદ્ધિ “જાસુ કૃપા નિર્મલ મતી પાવા”ચિત્તની શુદ્ધિ
નાની નાની વાતમાં આપણું ચિત્ર વિક્ષિપ્ત થઈ જાય તો સમજવું કે ચિત્ત શુદ્ધ નથી, ચિત્ત સુધીનો એક માર્ગ છે, મોરારી પાદાર ચિત્તવૃત્તિ. મારી ચિત્તવૃતિઓ કૃષ્ણ ચરણ તરફ જાય છે એ અનુભૂતિ, ચિત્તની શુદ્ધિ છે. અહંકાર શુદ્ધિ, હનુમાનજી રાવણને કહે છે કે તું થોડો રજોગુણી અહંકાર રાખી શકે કારણકે તું વૈભવી છે, અને સત્વ ગુણી અહંકાર પણ રાખી શકે, કારણ કે તું વિદ્વાન છે, આટલા મોટા સ્તોત્રનો રચયિતા છે, તું સાધક પણ છે. પરંતુ તમોગુણી અહંકાર છોડી દે! પરંતુ રાવણ માન્યો નહીં. આપણે કોઈ બુદ્ધપુરુષનાં શરણમાં રહીએ તો આપણાં અહંકાર પર બુદ્ધ પુરુષ કામ કરશે. રામચરિત માનસમાં ચારવાર સદગુરુ શબ્દનો પ્રયોગ થયો છે.
**સદગુરુ વૈધ છે.
સદગુરુ જ્ઞાન વિરાગ જોગ કે,
બિબુધ વૈદ ભવ ભીમ રોગ કે.
**સદગુરુ મળે તો સંસય ભ્રમ મટી જાય.
સદગુરુ મિલે જાહિ જીમિ,
સંસય બ્રહ્મ સમુદાઈ,
**સદગુરુ કર્ણધાર છે.
કરનધાર સદગુરુ દ્રૃઢ નાવા,
દુર્લભ સાજ સુલભ કરિ પાવા.
**સદગુરુ વિશ્વાસનું પ્રતીક છે.
સદગુરુ બૈદ વચન વિશ્વાસા,
સંજમ યહ ન વિષય કૈ આસા.
માનસમાં સદગુરુ શબ્દ ચાર વાર જ શું કામ આવ્યો? કારણકે આપણાં જીવનમાં જેટલી વસ્તુ ચાર છે, એનો કંટ્રોલ સદગુરુ કરે છે. સાધક પોતાના મન, બુદ્ધિ ચિત્ત અહંકાર એમને સોંપી દે તો એ સદગુરુ બને. દિશાઓ તો 10 છે, પરંતુ મુખ્ય ચાર દિશા છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આપણી પૂર્વમાં જગન્નાથ પશ્ચિમમાં દ્વારકા ઉત્તરમાં બદ્રીનાથ અને દક્ષિણમાં રામેશ્વર, જેવા પરમ તત્વની એ સ્થાપના કરે છે. સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ, અર્થ વેદ, એ ચારે મારા સદગુરુ માં સમાયેલા છે. ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એ ચારને પણ સદગુરુને સોપો. સદગુરુ ધર્મ રૂપે આપણને સત્ય પ્રેમ અને કરુણાનાં પથ પર દોરી જાય. ગુરુ બે પ્રકારના હોય એક પૂર્ણતામાં માનનારા, અને બીજા શૂન્યમાં માનનારા. શંકરાચાર્ય પૂર્ણતાને માને છે, જ્યારે ભગવાન બુદ્ધ શૂન્યને માને છે. સદગુરુ આપણી કામના પર કંટ્રોલ કરી ભીતરી, એટલું સુખ આપે કે આપણે પૂર્ણ થઈ જઈએ. અર્થનો અનર્થ થાય નહીં, એનું ધ્યાન પણ સદગુરુ રાખશે, અને એ મોક્ષ સુધીની જવાબદારી સ્વીકારી લેશે. સદગુરુ આપણને સાલોક્ય, સાયુજ્ય, સામિપ્ય,સારુપ્ય એ ચારેય પ્રકારની મુક્તિ આપે છે.
મન બુદ્ધિ ચિત્ત,અહંકાર, પછી પાંચમી શુદ્ધિ છે વચન શુદ્ધિ. છઠ્ઠી સિદ્ધિ છે કર્મની શુદ્ધિ. ભાવ શુદ્ધિ. આઠમી શુદ્ધિ નિંદામાંથી બહાર આવવું, એટલે કે પ્રપંચ શુદ્ધિ. રત્નાવલી અને તુલસી બંનેમાં આ આઠે પ્રકારની શુદ્ધિ સિદ્ધ થાય છે.
આપણે વાત કરી રહ્યાં હતાં કે યમુનાજી ત્રણ વસ્તુ આપે છે, તો પ્રથમ પરમતત્વ પ્રત્યે પ્રીતિ વર્ધન કરે છે. બીજું શુદ્ધિઓરૂપી સિદ્ધિ પ્રદાન કરે છે, અને ત્રીજું મનને પ્રસન્નતાથી ભરી દે છે. ગંગાનાં તટ પર બેસો તો રામ કૃષ્ણની એટલી યાદ આવતી નથી, પરંતુ મહાદેવની યાદ આવે કારણ કે એ ત્યાંથી આવે છે, અને કર્પૂરગૌરમ્.. એ જ રીતે રામ અને કૃષ્ણનો વર્ણ શ્યામ છે, એવી જ યમુનાજીનો પ્રવાહ પણ શ્યામ છે, અને એ પ્રેમાવતારની સ્મૃતિથી આપણને ભરીને પ્રસન્નતા આપે છે.
યમુનાજી યમની બહેન છે, રવિ તનયા છે, સૂર્યની પુત્રી છે, તો એ ત્રણ વસ્તુ હરી લે છે. એક મૃત્યુને હરી લે છે. સ્થૂળ રૂપે જોઈએ તો તુલસી યમુના દ્વારા રત્નાવલી ના ઘરે ગયા એમણે સાપને પકડ્યો પરંતુ તુલસીને દસ દીધો નહીં મતલબ યમુનાને કારણે મૃત્યુ હરણ થઈ ગયું. યમ નાં દૂત આવે, અને યમુનાજીનું સ્મરણ થાય તો દૂત કંઈ કરી શકતા નથી, ઘણો મહિમા છે યમુનાજીનો.” અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનં”.
તુલસી કહે છે,
બિધિ નિષેધમય કલિમલ હરની,
કરમ કથા રબિનંદન બરની.
યમુનાનો પ્રવાહ કળિયુગનાં મેલને હરી લે છે, એટલે કે સંસાર ભાવ અને સંસારની વૃત્તિને હરી લે છે.રત્નાવલીને મળવા ગયાં ત્યારે આ ભાવ મુખ્ય હતો, પરંતુ પાછા ફર્યા, ત્યારે સંસારની વૃત્તિઓનું હરણ થઈ ગયું. સંસારની વૃત્તિને કલિનો મેલ છે. સંસારમાં રહેવું ખરાબ નથી, વૃત્તિ ખરાબ છે. ત્રીજી વસ્તુ છે લોકાપવાદ, તુલસી ભાગી ગયા, પલાયન વાદી છે નિરાશાવાદી છે, પોતાની ધર્મપત્નીના બોલ સહન ન કરી શક્યાં, તુલસીએ સંસ્કૃતમાં નહીં પણ પ્રાકૃતમાં ગ્રંથ લખ્યો વગેરે, પરંતુ તુલસી આ લોકાપવાદથી દૂર રહી શક્યાં એનું કારણ યમુનાનો પ્રવાહ છે. પ્રયાગમાં ગંગા અને યમુનાનું મિલન છે, અને સંતો કહે છે કે, કર્મનુ ભક્તિમાં ભળી જવું એ સંકેત પ્રયાગની ગંગા યમુનાનું મિલન છે. કથાનાં ક્રમમાં મહારાજ જનક દોસ્તો અયોધ્યામાં જાય છે, અને દશરથજી આખી અયોધ્યાને લઈને મિથિલા આવે છે. માગસર શુક્લ પંચમીના દિવસે ભગવાન રામ અને જાનકીનાં વિવાહ સંપન્ન થાય છે, અને જાન પાછી અયોધ્યા પહોંચે છે, વિશ્વામિત્ર વિદાય લે છે, ત્યાં સુધીની કથા કરી સાતમા દિવસની કથાને વિરામ આપ્યો.
સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)



