
ન્યુક્લિયર પ્લાન્ટ નજીક કાટમાળ પડ્યો યુદ્ધની આશંકા વચ્ચે ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ ઉપરાંત માર્કેટના બે વેપારીઓના પણ મોત નિપજ્યા છે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે સેનાનું એક હેલિકોપ્ટર ઈસ્ફહાન પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. સેનાનું આ હેલિકોપ્ટર એક ફ્રૂટ હોલસેલ માર્કેટમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયાના સમાચાર છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ઈરાનના પરમાણુ પ્લાન્ટ ધરાવતા ઈસ્ફહાન પ્રાંતમાં હેલિકોપ્ટરનો કાટમાળ ફેલાઈ ગયો હતો.ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જાેડાયેલી આ હેલિકોપ્ટર ઈરાની સેનાની એવિએશન યુનિટનું હતું. તે ઈસ્ફહાન પ્રાંતના ખોમેની શાહર કાઉન્ટીના દારચેહ શહેરમાં આવેલા ફળ અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, ક્રેશનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનામાં પાયલટ અને કો-પાયલટ ઉપરાંત માર્કેટના બે વેપારીઓના પણ મોત નિપજ્યા છે.
ઈરાનનો એર સેફ્ટી રેકોર્ડ ઘણો ખરાબ છે. અહીં વારંવાર વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓ સર્જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે ઈરાન પાસે રહેલા મોટાભાગના એરક્રાફ્ટ ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ પહેલા ખરીદવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે મેન્ટેનન્સ માટે અસલી સ્પેરપાર્ટ્સ ન મળતા હોવાથી જૂના વિમાનોમાં અવારનવાર ખામી સર્જાય છે.




