
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું.હવે ટ્રેનથી ભુતાન જઈ શકાશે : રૂ.૪ હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી.બે પ્રોજેક્ટોથી બંને દેશો વચ્ચે સંપર્કની સાથે વ્યાપાર, પર્યટન અને લોકોની અવરજવર પણ ઘણી સરળ બનશે.ભારત સરકારે સોમવારે ભારત-ભુતાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કુલ ૪૦૩૩ કરોડ રૂપિયાના ખર્ચે બે મહત્ત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું છે કે, બે પ્રોજેક્ટોથી બંને દેશો વચ્ચે સંપર્કની સાથે વ્યાપાર, પર્યટન અને લોકોની અવરજવર પણ ઘણી સરળ બનશે. ખાસ વાત એ છે કે, આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ભારતીય નાગરિકો ટ્રેન દ્વારા સીધા ભુતાન જઈ શકશે. પ્રથમ પ્રોજેક્ટની વાત કરીએ તો આસામના કોકરાઝારથી ભુતાનના ગાલેફૂ શહેર સુધી રેલવે લાઈન બિછાવવામાં આવશે. આ ૬૯ કિલોમીટર લાંબી રેલવે લાઈન પર ૩૪૫૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
બીજા પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ બંગાળના બનરહાટને ભુતાનના સમત્સે શહેર સાથે જાેડવામાં આવશે. બંને શહેર વચ્ચે ૨૦ કિલોમીટરની રેલવે લાઈન બિછાવવા માટે ૫૭૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. અગાઉ આ ટ્રેન બંગાળના હાસીમારા આવતી હતી.
ભારત-ભૂટાનને જાેડવા માટે કોકરાઝાર (આસામ)થી ગાલેફૂ (ભૂટાન) સુધીની નવી રેલ લાઈનનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ૩૪૫૬ કરોડ રૂપિયા થશે અને તેને પૂર્ણ થતાં ચાર વર્ષ લાગશે. ૬૯ કિલોમીટર લાંબો આ રૂટ ભૂટાનના સરપાંગ જિલ્લા અને ભારતમાં આસામના કોકરાઝાર તથા ચિરાંગ જિલ્લામાંથી પસાર થશે. આ પ્રોજેક્ટમાં ૬ સ્ટેશન, ૨૯ મોટા પુલ, ૬૫ નાના પુલ, ૨ મહત્ત્વપૂર્ણ બ્રિજ, ૨ લાંબા-ઊંચા પુલ, ૩૯ રેલવે અંડરબ્રિજ, એક રેલવે ઓવર બ્રિજનો સમાવેશ થાય છે.
