
આણંદ જિલ્લામાં પાક નુકસાની સહાય મેળવવા ૭૨૦૦૦ ખેડૂતોએ અરજી કરી.જિલ્લાના ૩૬૮૫૮ ખેડૂતોને રૂપિયા ૬૪.૮૫ કરોડની કરાઈ ઓનલાઈન ચુકવણી કરવામાં આવી.રાજ્યભરની સાથે આણંદ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ખેડૂતોએ નુકસાની સહાય મેળવવા માટે અરજી કરી શકે છે.કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. જે અંગે
તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતો માટે ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ છે, અને ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા ૨૨,૦૦૦, વધુમાં વધુ બે હેકટર માટે રૂપિયા ૪૪,૦૦૦ સુધી સહાય આપવામાં આવનાર છે. આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં કુલ ૭૨,૦૦૦ ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી છે, તે પૈકી અરજીની જરૂરી ચકાસણી કરી આજદિન સુધીમાં સુધી ૫૮,૦૦૦ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.મંજુર કરવામાં આવેલ અરજીઓ પૈકી ૩૬૮૫૮ ખેડૂતોને રૂપિયા ૬૪.૮૫ કરોડની ઓનલાઈન ચુકવણૂં પણ પૂર્ણ કરવામાં આવેલ છે. બાકી રહેલ અરજીઓની ચકાસણી કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે. જે ખેડૂતોને સહાય મળવાપાત્ર છે તેમને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવામાં આવી રહી છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ વધુમાં જણાવ્યું છે.




