
ચાર બોટ વધારે મુકવી પડી એક જ દિવસમાં એક લાખથી વધુ ભક્તોએ કરી નર્મદા પરિક્રમામાં ફાગણ વદ અમાસ ૧૯ માર્ચથી ચૈત્ર વદ અમાસ ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી, આમ કુલ ૩૦ દિવસ સુધી આ પરિક્રમા ચાલશે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ફાગણ વદ અમાસ ૧૯ માર્ચથી ચૈત્ર વદ અમાસ ૧૭ એપ્રિલ ૨૦૨૬ સુધી, આમ કુલ ૩૦ દિવસ સુધી આ પરિક્રમા ચાલશે. ત્યારે શનિવાર અને ઈદની રજામાં અહીં એક લાખ કરતા પણ વધુ ભક્તોએ નર્મદા પરિક્રમા કરી છે. શનિવારે રાત્રિના મોટી સંખ્યામાં ભક્તોની ભીડ વધી જતા હોડીમાં બેસવા માટે પણ ઘણી ભીડ જામી હતી. પરિક્રમાવાસીઓની ભીડ જામતા ચાર નવી બોટ લાવવી પડી હતી.
પ્રથમ દિવસે ૧૮મી માર્ચના રાત્રિના ૨,૦૦૦ પરિક્રમાવાસી નોંધાયા હતા. ૧૯મી માર્ચના ૯,૦૦૦ નોંધાયા હતા. જ્યારે ૨૦મી તારીખે ૧૪,૦૦૦ પ્રવાસીઓ નોંધાયા હતા. તો ૨૧મી તારીખ અને શનિવારે એક લાખ ભક્તો નોંધાયા હતા. શનિવારે રાત્રિના મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ચાર બોટ નવી લાવવી પડી હતી. બોટમાં બેસવા લાંબી કતારો લાગી હતી. જાેકે તંત્ર ખડે પગે સેવામાં હાજર રહ્યું હતું. લાખોની સંખ્યામાં પણ ભક્તોએ શાંતિપૂર્વક પરિક્રમા કરી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે અંદાજે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે. જેમાં ડોમ શેલ્ટર, મોબાઈલ ટોયલેટ, વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, ૨૪×૭ એમ્બ્યુલન્સ, લાઇટિંગ તથા ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ, વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં વિશ્રામની બધી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોકરૂમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરિક્રમા માર્ગ પર સેવા કેન્દ્રો અને દુકાનો ઊભી કરવામાં આવી રહી છે.
પરિક્રમા માર્ગ અને તમામ ઘાટોને પ્રકાશિત કરવા માટે વ્યાપક લાઇટિંગ વ્યવસ્થા કરાઈ રહી છે. સમગ્ર ૧૮ કિલોમીટરના માર્ગ પર એલઈડી અને ફ્લડ લાઇટ લગાવવામાં આવશે, જેથી રાત્રિના સમયે પણ યાત્રાળુઓને સલામત અને સ્પષ્ટ માર્ગ મળી રહે. જાહેર ઉદ્ઘોષણાઓ માટે સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ કમ્યુનિકેશન અને સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા રહેશે. ટેક્નિકલ ઓપરેટરો દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત નજર રાખવામાં આવશે.




