
છત્તીસગઢમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટો દાવો છત્તીસગઢમાં હવે ભયનો માહોલ ખત્મ, બસ્તર હવે નક્સલ મુક્ત : અમિત શાહ જંગલમાંથી મળતા વનઉત્પાદનોનો સીધો લાભ આદિવાસીઓ સુધી પહોંચાડવા માટે ખાસ આયોજન કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે છત્તીસગઢમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોટો દાવો કરતા જણાવ્યું કે બસ્તર સહિત સમગ્ર દેશમાં નક્સલવાદનો લગભગ સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે બસ્તર જિલ્લો નક્સલીઓથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર માનવામાં આવતો હતો, પરંતુ હવે અહીંથી નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ કરવામાં સફળતા મળી છે. રાજ્યમાં હવે ભયનું વાતાવરણ સમાપ્ત થયું હોવાનું પણ તેમણે જણાવ્યું.
અમિત શાહે કહ્યું કે નક્સલવાદ ખતમ થયા બાદ તેઓ પ્રથમ વખત બસ્તર આવ્યા છે અને હવે અહીં વિકાસના નવા યુગની શરૂઆત થઈ રહી છે. તેમણે જણાવ્યું કે છત્તીસગઢમાં વિકાસ ન થવાનું મુખ્ય કારણ નક્સલવાદ હતું. ૧૯ મે ૨૦૨૬ની તારીખને ઐતિહાસિક ગણાવતા તેમણે કહ્યું કે હવે બસ્તરના આદિવાસી વિસ્તારોમાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવામાં આવશે.
ગૃહમંત્રીએ જાહેરાત કરી કે બસ્તરના દરેક આદિવાસી પરિવારને એક ગાય અને એક ભેંસ આપવામાં આવશે. સાથે જ બસ્તર વિસ્તારમાં મોટું ડેરી નેટવર્ક ઉભું કરવાની યોજના પણ સરકાર બનાવી રહી છે. જંગલમાંથી મળતા વનઉત્પાદનોનો સીધો લાભ આદિવાસીઓ સુધી પહોંચાડવા માટે ખાસ આયોજન કરવામાં આવશે.
આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી સરકારની કામગીરીની પ્રશંસા કરતા કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉની કોંગ્રેસ સરકારે નક્સલવાદના ઉન્મૂલનમાં પૂરતું સહકાર આપ્યો નહોતો.
ડિસેમ્બર ૨૦૨૩માં ભાજપ સરકાર બન્યા બાદ નક્સલવાદ વિરુદ્ધ કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી હતી. અમિત શાહે નક્સલમુક્ત ભારત બનાવવામાં સુરક્ષા દળોના યોગદાનની પણ પ્રશંસા કરી અને કહ્યું કે જવાનોના બલિદાનથી જ આ સફળતા શક્ય બની છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય અને ગૃહમંત્રી વિજય શર્મા પણ હાજર રહ્યા હતા.



