
રિવરફ્રન્ટથી બહાર નીકળીને ડફનાળા જવું પડશે અમદાવાદના સુભાષબ્રિજ નીચેનો રિવરફ્રન્ટ બંધ કરાયો સુભાષબ્રિજની કામગીરી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોની સુરક્ષા રહે તે માટે ર્નિણય અમદાવાદના વાહનચાલકો અને રિવરફ્રન્ટના માર્ગનો ઉપયોગ કરતા નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુભાષબ્રિજના સમારકામ અને બ્રિજને તોડવાની કામગીરીને પગલે સલામતીના ભાગરૂપે પૂર્વ રિવરફ્રન્ટનો સુભાષબ્રિજ નીચેનો ભાગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સુભાષબ્રિજની કામગીરી દરમિયાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. બ્રિજને તોડવાની કામગીરી ચાલતી હોવાથી બ્રિજની બરાબર નીચેના ભાગને સંપૂર્ણપણે કોર્ડન કરી દેવામાં આવ્યો છે, જેથી ઉપરથી કોઈ કાટમાળ કે સામગ્રી નીચે પસાર થતા વાહનો પર ન પડે. આ ર્નિણય માત્ર ને માત્ર લોકોની તકેદારી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે.
જાે તમે પૂર્વ રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરીને સુભાષબ્રિજ તરફથી પસાર થવાના હોવ, તો તમારે નીચે મુજબના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. હવેથી વાહનચાલકોએ સુભાષબ્રિજ નીચેથી સીધા પસાર થવાને બદલે, બ્રિજ આવે તે પહેલાં જ રિવરફ્રન્ટ રોડથી બહાર નીકળી જવું પડશે. ત્યાંથી આગળ વધીને BAPS સ્વામિનારાયણ મંદિર થઈને ડફનાળા તરફ જઈ શકાશે.
તંત્ર દ્વારા આ વિસ્તારમાં ચુસ્ત બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પરથી પસાર થતા લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ઉતાવળ ન કરે અને ટ્રાફિક પોલીસ તેમજ તંત્ર દ્વારા આપવામાં આવેલા ડાયવર્ઝન અને સૂચનાઓનું પાલન કરે, જેથી બ્રિજના સમારકામ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. તમારા સમયનો બચાવ કરવા માટે આ રૂટ પર નીકળતા પહેલા થોડો વધુ સમય હાથ પર રાખવો હિતાવહ છે.



