
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ સુપ્રીમ કોર્ટથી જામીન મળતા તથ્ય પટેલ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટથી એક કરોડના બોન્ડ પર જામીન, પાસપોર્ટ જપ્ત, દેશ બહાર જવા અને સાક્ષીઓ સાથે સંપર્ક પર પ્રતિબંધ
બહુચર્ચિત ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ બનાવના પોણા ત્રણ વર્ષ બાદ આજે ૩જી જુન ૨૦૨૬ને બુધવારે સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તથ્યને નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા બાદ ગત અઠવાડિયે અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને એક કરોડ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. જેથી તે હાલ જેલ બહાર આવ્યો છે, ત્યારે હાલ ફરી એકવાર ત્રણ વર્ષ પહેલાની તે ગોજારી ઘટના ચર્ચામાં આવી છે.
અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય આરોપી તથ્ય પટેલના કાયમી જામીન મંજૂર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીનના ભાગરૂપે રૂ.૧ કરોડની રકમ જામીન બોન્ડ તરીકે ટ્રાયલ કોર્ટમાં ૧૫ દિવસની અંદર જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ આજે ૩ જૂન, ૨૦૨૬ના રોજ તથ્ય પટેલના વકીલે ગ્રામ્ય કોર્ટે જેલમાં બીડું જમા કરાવ્યું હતું. જેથી તે બનાવના ૨ વર્ષ ૧૦ મહિના અને ૧૪ દિવસ બાદ હાલ જેલ બહાર આવી ઘરે જવા નિકળ્યો છે.
જામીન મંજૂર કરતી વખતે ટ્રાયલ કોર્ટે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ મૂકી છે. કોર્ટના આદેશ મુજબ તથ્ય પટેલે પોતાનો પાસપોર્ટ સોંપવાનો રહેશે અને કોર્ટની પૂર્વ મંજૂરી વિના ભારત છોડીને જઈ શકશે નહીં. ઉપરાંત કેસ સાથે સંકળાયેલા સાક્ષીઓનો કોઈપણ પ્રકારનો સંપર્ક કરવો કે તેમને હેરાનગતિ પહોંચાડવી નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આરોપીને સમયાંતરે કોર્ટ સમક્ષ હાજર રહી જરૂરી કાર્યવાહી અને પુરાવા પ્રક્રિયામાં સહકાર આપવાની પણ શરત ફરમાવવામાં આવી છે. કોર્ટ દ્વારા મૂકવામાં આવેલી તમામ શરતોનું પાલન કરવું તથ્ય પટેલ માટે ફરજિયાત રહેશે.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તથ્ય પટેલે રેગ્યુલર જામીનના ભાગરૂપે રૂ.૧ કરોડની રકમ જામીન બોન્ડ ભરી છે. આ એક કરોડની રકમ અકસ્માતમાં ભોગ બનનારના પરિવારજનોને વળતર પેટે સરખે હિસ્સે ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારે પણ બોન્ડની રકમ અંગે પોતાની સહમતિ દર્શાવી હતી. સાથે જ અમદાવાદના સાબરમતી ઇ્ર્ં દ્વારા ટ્રાફિક પોલીસની ભલામણના આધારે તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. લાયસન્સ કાયમી ધોરણે રદ થવાને કારણે તે હવે ભારતમાં સત્તાવાર રીતે ક્યારેય પણ કોઈ વાહન ચલાવી શકશે નહીં.



