
અચાનક લીધેલા ર્નિણયથી ફેન્સ હેરાન ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે નિવૃત્તિની જાહેરાત કરી બેટ્સમેન કેએસ ભરત પોતાના કરિયરમાં ભારત માટે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમ્યો છે : તેમણે ૭ ટેસ્ટ મેચ રમી હતી ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતે અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ મેચ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની માહિતી ફેન્સ આપી છે.
ભારત માટે ૭ ટેસ્ટ રમી ચૂકેલા ભરત અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાનો હિસ્સો નથી. એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતના બેકઅપ તરીકે ટીમ ઇન્ડિયા સાથે રહેતા ભરતને લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાં તક મળી રહી ન હતી. ૩૨ વર્ષના ભરતે ટીમ ઇન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી ૨૦૨૪માં રમી હતી.
તેમણે નિવૃત્તિ અંગે પોસ્ટ શેર કરતા સૌથી પહેલા થેંક્યુ બીસીસીઆઈ લખ્યું. આ સાથે ભરતે વધુમાં લખ્યું કે, “ગર્વ અને કૃતજ્ઞતાની ભાવના સાથે, હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું.”
તેમણે વધુમાં લખ્યું કે, “દેશ માટે રમવું એ મારા માટે સૌથી ગર્વની વાત રહી. મારી આ સફરમાં ઘણી ધીરજ અને દ્રઢતાની જરૂર પડી છે, પરંતુ ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ એક અમૂલ્ય પળ છે. ચાર લોકોના પરિવારમાં, અમે બધાએ બે દાયકાથી એક જ સપનું જીવ્યું છે. મારી બહેન, માતા અને પિતાનો ખુબ ખુબ આભાર જેમણે મને આવું વાતાવરણ અને સહયોગ આપ્યો. હું તેમના પ્રેમ, શિસ્ત અને સખત મહેનતનું પરિણામ છું.”
ઋષભ પંત કાર અકસ્માતમાં ઘાયલ થયા બાદ, કેએસ ભરતને રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળ્યા બાદ પણ કેએસ ભરત પોતાની બેટિંગથી બહુ પ્રભાવિત કરી શક્યા ન હતા. તેમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની બીજી આવૃત્તિમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં પણ રમવાની તક મળી હતી, પરંતુ તેઓ આ તકનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. કેએસ ભરતે પોતાના કરિયરમાં ભારત માટે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમ્યો છે. તેમણે ૭ ટેસ્ટ મેચ રમી હતી. આ મેચોની ૧૨ ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેમણે ૨૦.૦૯ની એવરેજથી ૨૨૧ રન બનાવ્યા હતા, જેમાં તેમનો હાઈએસ્ટ સ્કોર ૪૪ રન રહ્યો હતો. બીજી તરફ ફર્સ્ટ ક્લાસ કરિયર પર નજર કરીએ તો, તેમણે ૧૧૩ મેચોની ૧૮૦ ઇનિંગ્સમાં ૬૧.૩૨ની એવરેજથી ૬૧૦૨ રન બનાવ્યા છે, જેમાં ૧૧ સદી અને ૩૪ અર્ધસદી સામેલ છે.



