
જ્યારે ભારત તેના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરે છે, ત્યારે એક નામ છોટાનાગપુરના જંગલોમાંથી અવિરત નૈતિક શક્તિ સાથે ઉભરી આવે છે – ભગવાન બિરસા મુંડા, જેઓ ધરતી આબા (ધરતીના પિતા), જમીનના રક્ષક તરીકે પૂજનીય છે. એક ઐતિહાસિક વ્યક્તિત્વ કરતાં પણ વધુ, તેઓ ગૌરવ, પ્રતિકાર અને આદિવાસી સ્વાભિમાનના જીવંત પ્રતીક તરીકે ઓળખાય છે. તેમનું વિઝન – આદિવાસી ઓળખનું સંરક્ષણ થવું જોઈએ, સમાનતા સાર્થક હોવી જોઈએ, અને વિકાસ ન્યાય સાથે સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ – વિકસિત ભારતના નિર્માણ તરફની ભારતની યાત્રાને સતત માર્ગદર્શન આપી રહ્યું છે. આજે, સર્વસમાવેશક વિકાસ પર નવેસરથી રાષ્ટ્રીય ભાર મૂકવાના બાર વર્ષ પછી, તે આદર્શો નીતિ, શાસન અને નવા ભારતના લોકોની આકાંક્ષાઓને આકાર આપી રહ્યા છે.
વારસાને તેનું યોગ્ય સ્થાન આપવું
ભગવાન બિરસા મુંડાનો વારસો લાંબા સમયથી સમગ્ર ભારતમાં આદિવાસી સમુદાયોના ગીતો, વાર્તાઓ અને સામૂહિક સ્મૃતિમાં જીવંત રહ્યો છે. વર્ષ 2021 માં, માનનીય પ્રધાનમંત્રીએ 15મી નવેમ્બર – બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરીને આ વારસાને રાષ્ટ્રીય માન્યતા આપી હતી. આ માન્યતા તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બર 2024 થી 15 નવેમ્બર 2025 દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ’ ની ઉજવણી સાથે વધુ ગાઢ બની હતી. આ સમયગાળા દરમિયાન, આદિવાસી ગૌરવ અને વિરાસતની દેશવ્યાપી ઉજવણીમાં 3 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચીને 2 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં, આ ઉજવણીઓએ આદિવાસી જીવનની સમૃદ્ધિ અને વિવિધતાને પ્રતિબિંબિત કરી હતી. નાગાલેન્ડમાં હોર્નબિલ ફેસ્ટિવલ અને કેરળમાં ટ્રાઇબલ લિટરરી ફેસ્ટિવલથી લઈને ઝારખંડમાં નેશનલ ટ્રાઇબલ ફિલ્મ ફેસ્ટિવલ અને તેલંગાણામાં કેનો સ્પ્રિન્ટ ચેમ્પિયનશિપ સુધીના કાર્યક્રમોએ આદિવાસી સંસ્કૃતિ, સર્જનાત્મકતા, રમતગમત અને વાર્તાલાપને રાષ્ટ્રીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યા હતા. આ તમામ કાર્યક્રમોમાં વિશિષ્ટ સંસ્કૃતિઓ અને સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતા 11 લાખથી વધુ આદિવાસી નાગરિકોએ ભાગ લીધો હતો. આ એક પ્રકારની ઘોષણાઓ હતી – કે આદિવાસી વારસો એ આધુનિક ભારતને આકાર આપવામાં એક જીવંત અને સક્રિય શક્તિ છે.
આદિવાસી સશક્તિકરણ અને સર્વસમાવેશકતા તરફ બાર વર્ષના સતત અને કેન્દ્રિત રાષ્ટ્રીય પ્રયાસોના આધારે, ‘જનજાતીય ગરિમા ઉત્સવ 2026’ ચાર વિષયો પર આધારિતસપ્તાહો દ્વારા આ ગતિને આગળ ધપાવે છે જે એકસાથે આદિવાસી વિકાસના સંપૂર્ણ સ્પેક્ટ્રમ (ક્ષેત્ર) ને પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને ત્રીજું સપ્તાહ, ભારતના ભવિષ્ય માટેના એક કેન્દ્રીય પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરે છે: આપણે આ રાષ્ટ્રને આકાર આપનારા વ્યક્તિઓ અને સમુદાયોને કેવી રીતે ઓળખીએ, અને આપણે આગામી પેઢીને તે વારસાને આગળ ધપાવવા માટે કેવી રીતે સશક્ત કરીએ?
ઇતિહાસ જે નામો ભૂલી ગયો છે તેને પુનઃસ્થાપિત કરવા
તે પ્રશ્નનો જવાબ એવા ઘણા આદિવાસી નાયકોને ઓળખવા સાથે શરૂ થાય છે જેમનું યોગદાન લાંબા સમય સુધી મુખ્ય પ્રવાહના ઐતિહાસિક વર્ણનોમાંથી ગેરહાજર રહ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં, શિક્ષકો, કલાકારો, વૈદ્યોઅને સુધારકોની પેઢીઓએ સમુદાયોને ટકાવી રાખ્યા છે અને સાંસ્કૃતિક ઓળખનું જતન કર્યું છે. તેમની વાર્તાઓ ભારતની રાષ્ટ્રીય સ્મૃતિમાં યોગ્ય સ્થાન મેળવવાને પાત્ર છે, અને આ યોગદાનને દસ્તાવેજીબદ્ધ કરવા અને તેની ઉજવણી કરવા માટે હવે સતત પ્રયાસો થઈ રહ્યા છે.
દેશભરની આદિવાસી સંશોધન સંસ્થાઓમૌખિક ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરીને, સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને રેકોર્ડ કરીને અને આદિવાસી ભાષાઓ તથા સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરીને આ પ્રયાસમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી રહી છે. હાલમાં, 26 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલી 29 TRIs આ કાર્યમાં રોકાયેલી છે, જેમાં 222 આદિવાસી ભાષાઓમાં 355 મૂળભૂત પુસ્તકો દસ્તાવેજીકૃત કરવામાં આવ્યા છે. આ પ્રયાસો ભવિષ્યની પેઢીઓ માટે અમૂલ્ય સાંસ્કૃતિક જ્ઞાનને સાચવવામાં મદદ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય કથાનકમાં આદિવાસી અવાજોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ ‘આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો’ દ્વારા પણ આકાર લઈ રહ્યો છે, જે સ્મૃતિ અને માન્યતાના સ્થળો તરીકે કલ્પના કરવામાં આવ્યા છે. આદિવાસી બાબતોના મંત્રાલયે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમુદાયોની ભૂમિકાને સન્માનિત કરવા માટે 10 રાજ્યોમાં આવા 11 સંગ્રહાલયો મંજૂર કર્યા છે. રાંચીમાં ભગવાન બિરસા મુંડા અને નવા રાયપુરમાં શહીદ વીર નારાયણ સિંહને સમર્પિત સંગ્રહાલયો સહિત ચાર સંગ્રહાલયોનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. આ સંસ્થાઓ દ્વારા, આદિવાસી નાયકોની વાર્તાઓને દસ્તાવેજીબદ્ધ કરવામાં આવી રહી છે, તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને ભારતની સામૂહિક ઐતિહાસિક સ્મૃતિમાં કાયમી ધોરણે વણી લેવામાં આવી રહી છે.
મશાલ ધારણ કરનારાઓને સશક્ત કરવા
ભૂતકાળનું સન્માન કરવાની સાથે, આ યાત્રા સ્વાભાવિક રીતે વર્તમાન પેઢીને સશક્ત કરવા તરફ આગળ વધે છે. મંત્રાલયના શિષ્યવૃત્તિકાર્યક્રમોથી લાભ મેળવતા આદિવાસી વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યામાં આ સૌથી વધુ સ્પષ્ટપણે દેખાય છે. માત્ર વર્તમાન વર્ષમાં જ, પાંચ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ 26,01,979 આદિવાસી વિદ્યાર્થીઓને ₹3825.54 કરોડના કુલ ખર્ચ સાથે સહાય પૂરી પાડવામાં આવી છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના પરિવારમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા પ્રથમ વ્યક્તિ છે, જેઓ માત્ર વ્યક્તિગત આકાંક્ષાઓ જ નહીં પરંતુ સમગ્ર સમુદાયની આશાઓ વહન કરી રહ્યા છે. આમાંથી, વર્તમાન શિષ્યવૃત્તિના લાભાર્થીઓમાં 56% થી વધુ મહિલાઓ છે.
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સનો વિસ્તાર પણ શિક્ષણની પહોંચ અને તકો પ્રત્યેની આ જ પ્રતિબદ્ધતા દર્શાવે છે. મંજૂર કરાયેલી EMRS સંસ્થાઓની સંખ્યા વર્ષ 2013-14માં 167 હતી જે વધીને વર્ષ 2025-26માં 723 થઈ ગઈ છે, જે 330% થી વધુનો વધારો દર્શાવે છે – જ્યારે આ જ સમયગાળા દરમિયાન કાર્યરત શાળાઓની સંખ્યા 123 થી વધીને 499 થઈ ગઈ છે. વિદ્યાર્થીઓની નોંધણીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે 0.34 લાખથી વધીને 1.56 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ છે. આદિવાસી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત નિવાસી શિક્ષણ પ્રદાન કરીને, EMRS સંસ્થાઓ મજબૂત શૈક્ષણિક પાયો બનાવવામાં મદદ કરી રહી છે અને દેશભરના આદિવાસી યુવાનો માટે તકોનો વિસ્તાર કરી રહી છે.
આ આંકડાઓ માત્ર યોજનાઓના વિસ્તરણ કરતાં ઘણું બધું દર્શાવે છે; તેઓ એક મોટા માળખાકીય પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. શિષ્યવૃત્તિ અને ફેલોશિપ એ આત્મવિશ્વાસ, પ્રતિનિધિત્વ અને નેતૃત્વમાં કરવામાં આવેલું રોકાણ છે. અમારી પ્રતિબદ્ધતા અડગ છે: ભૌગોલિક પરિસ્થિતિ, પૃષ્ઠભૂમિ અથવા શિક્ષણ સંસ્થાઓ સુધી મર્યાદિત પહોંચને કારણે કોઈ પણ આદિવાસી વિદ્યાર્થીને તકથી વંચિત રાખવામાં આવવો જોઈએ નહીં.
મહિલાઓ કેન્દ્ર સ્થાને: સશક્તિકરણની સાચી અભિવ્યક્તિ
આ શૈક્ષણિક પરિવર્તનની સાથે સાથે આદિવાસી મહિલાઓ દ્વારા નેતૃત્વ કરાતા પાયાના સ્તરનાનેતૃત્વમાં એક મોટો ફેરફાર આવ્યો છે. પેઢીઓથી, આદિવાસી મહિલાઓ સંસ્કૃતિ, કુદરતી સંસાધનો અને સામુદાયિક જીવનનીનિઃશબ્દરક્ષક રહી છે – જે પરિવારો અને પરંપરાઓને ટકાવી રાખે છે. ભારત 5.20 કરોડ આદિવાસી મહિલાઓનું ઘર છે, જે કુલ આદિવાસી વસ્તીના લગભગ અડધા હિસ્સા સમાન છે, અને તેમનું નેતૃત્વ સર્વસમાવેશક વિકાસ માટે કેન્દ્રીય બની રહ્યું છે.
હાલમાં, 4,712વન ધન વિકાસ કેન્દ્રોમંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 3,365 કાર્યરત છે, જેનાથી 12.9 લાખથી વધુ લોકોને લાભ મળી રહ્યો છે, જેમાં અડધાથી વધુ લાભાર્થીઓ મહિલાઓ છે. આ પ્રયાસો પાયાના સ્તરની લોકશાહીને મજબૂત કરી રહ્યા છે જ્યારે આદિવાસી મહિલાઓ માટે વધુ આર્થિક અને સામાજિક સશક્તિકરણનું નિર્માણ કરી રહ્યા છે.
આગળ વધતો વારસો
ઉજવણી, સ્મરણ, શિક્ષણ અને મહિલા નેતૃત્વ મળીને એક મોટી અને સતત ચાલતી વાર્તાનો ભાગ બને છે, જેમાં આદિવાસી સમુદાયો આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે ભારતના ભવિષ્યને વધુને વધુ આકાર આપી રહ્યા છે. ‘ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’અને ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન’ (PM JANMAN) જેવી પહેલો દ્વારા, સંકલન અને સહયોગના એક નવા મોડેલદ્વારા પરિવર્તનશીલ બદલાવ જમીની સ્તર સુધી પહોંચી રહ્યો છે. આદિવાસી વિદ્વાનોનો ઉદય, અજાણ્યા નાયકોની સ્વીકૃતિ, અને આદિવાસી મહિલાઓનું વધતું નેતૃત્વ એ બાબતને પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે ભગવાન બિરસા મુંડાનો વારસો સમકાલીન ભારતમાં જીવંત રહ્યો છે.
આજે, ભારતના 10.5 કરોડથી વધુ આદિવાસી નાગરિકો રાષ્ટ્રીય વાર્તાના સૌથી આકર્ષક અને પ્રગતિશીલ પ્રકરણોમાંના એક છે. તેઓ રાષ્ટ્રીય પ્રગતિના હાંસિયામાં નથી, પરંતુ વિકસિત ભારતના વિઝનમાં સૌથી મજબૂત યોગદાન આપનારાઓમાં સામેલ છે – વિદ્વાનો નવી ક્ષિતિજો સર કરી રહ્યા છે, મહિલાઓ નેતૃત્વને પુનઃવ્યાખ્યાયિત કરી રહી છે, અને અજાણ્યા નાયકો આખરે રાષ્ટ્રીય માન્યતા મેળવી રહ્યા છે. આ યાત્રામાં, ધરતી આબાનો વારસો આગળ વધી રહ્યો છે.



