
આજરોજ સાણંદના ડરણ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા, જ્યાં ખેડૂતોની વહારે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી પણ પહોંચ્યા હતા. આ તકે ખેડૂતોને સંબોધન કરતા ’આપ’ યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ખેડૂતોએ સરકાર સામે છેક સુધી લડી લેવાનું છે. અગાઉ પણ જસદણ વિસ્તારમાં ગેરકાયદેસર વીજ થાંભલા નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે અમે પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ સામે લડત આપતા આજે છ દિવસથી એ કામ અટકી ગયું છે. હવે આપણે સૌએ પણ એક થવાની અને સંગઠિત થવાની જરૂર છે. કારણ કે આ દેશનો ઇતિહાસ કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશમાં ક્રાંતિ થઈ છે, ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ગરીબ અને મજૂરોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ઉઘાડા પગે ફરતા લોકોએ ક્રાંતિ કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી અને સરકારના લોકો ત્રણેય ટાઈમ પેટ ભરીને શાંતિથી જમી શકે છે, તો એ આપણા ખેડૂતોની દેન છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ગુજરાતની અંદર આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ સરકારનું એક ષડયંત્ર છે કે ખેડૂતોને જીવવા પણ ન દેવા અને મરવા પણ ન દેવા. આ ખેડૂતો ક્યારેય દેવામાંથી બહાર ન આવવા જોઈએ, એવું આ સરકારનું ષડયંત્ર છે. હું તમને કહેવા માગું છું કે, ૨૦૧૪માં આ જ સરકારે કીધું હતું કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું. પરંતુ આજે એ વાતને દસ વર્ષ થઈ ગયા, આવક બમણી થવાને બદલે દેવાં બમણાં થઈ ગયાં છે. ખેડૂતોનું દેવું ૨૦૧૪માં ૭૫,૦૦૦ કરોડ રૂપિયા હતું, જે આજે દસ વર્ષ પછી વધીને ૧,૫૧,૦૦૦ કરોડને પાર થઈ ગયું છે. મારે આજે યુવાનોને કહેવું છે કે, યુવાનો! ખેડૂતો માટે જાગો, ખેડૂતો માટે લડત લડો. જો લડી ન શકતા હો તો સોશિયલ મીડિયા થકી લખો, લખી ન શકતા હો તો બોલો, બોલી ન શકતા હો તો સાથે ઊભા રહો. જો સાથ પણ ન આપી શકતા હો, તો જે લોકો લડાઈ લડી રહ્યા છે, બોલે છે કે લખે છે, તેમનું મનોબળ ક્યારેય તોડશો નહીં. કારણ કે આ એ જ લોકો છે જે આપણા હક માટેની લડાઈ લડી રહ્યા છે.

’આપ’ યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ ભૂતકાળના બનાવો યાદ અપાવતા કહ્યું કે, હું તમને યાદ અપાવવા માગું છું કે બોટાદના કડદા કાંડમાં ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેમને લોહીલુહાણ કરવામાં આવ્યા. એ બધી વાત તો દૂર, પરંતુ ખેડૂતોના ઘરમાં ઘૂસીને બહેનો અને માતાઓને માર મારવામાં આવ્યો અને તેમના પર દમન ગુજારવામાં આવ્યું. શું તમે આ બધું ભૂલી જશો? જે રીતે સુરેન્દ્રનગરનું કોંઢ ગામ હોય કે મોરબીનું જેતપર ગામ હોય, ત્યાં ખેડૂતોના ગળા સુધી પોલીસનો હાથ પહોંચી ગયો, નાના બાળકોને ડિટેન કરવામાં આવ્યા, ખેડૂતોની માતા-બહેનો અને દીકરાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. સરકારને પડકાર ફેંકતા તેમણે જણાવ્યું કે,હું સરકારને કહેવા માગું છું કે જો તમારી તાકાત હોય, હિંમત હોય અને તમારી પોલીસમાં તાકાત હોય, તો એક વખત બ્રિજરાજ સોલંકી પર લાઠીચાર્જ કરીને જુઓ. તમારી તાકાત હોય તો બ્રિજરાજ સોલંકીને જેલમાં પૂરીને જુઓ. તમારી તાકાત હોય તો બ્રિજરાજ સોલંકીનો અવાજ દબાવીને જુઓ. આ અવાજ એક ખેડૂતના પુત્રનો અવાજ છે, આ અવાજ ગુજરાતના યુવાનોનો અવાજ છે. આ અવાજ ત્યાં સુધી બંધ નહીં થાય, જ્યાં સુધી મારા ગુજરાતના લાખો ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે. ત્યાં સુધી કોઈનામાં તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ દબાવી શકે. હવે જરૂર પડે ત્યારે એક વાર અજમાવીને જોજો. મારું કામ માત્ર બોલવાનું કે ભાષણબાજી કરવાનું નથી, હું લડી બતાવવા તૈયાર છું. શું તમે પણ તૈયાર છો?











