
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, “હું ધારાસભ્ય જ છું મારી સામે નહીં બોલવાનું, હું ધારાસભ્ય છું તારાથી થાય એ કરી લે” આ શબ્દો છે ભાજપના જૂનાગઢના એક ધારાસભ્યના. નામ એમનું ભગવાનજી છે પરંતુ તેમના મોઢામાંથી બેફામ ગાળો આવી રહી છે. આ અહંકાર ભાજપના લગભગ તમામ નેતાઓમાં છે. પ્રધાનમંત્રી મોદીજી સલાહ આપે છે કે “ગાળો ન બોલો, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરો” આ બધી સલાહો ફક્ત દેશના સામાન્ય લોકો માટે જ છે કારણ કે ભાજપના નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ માટે આ સલાહોનો કોઈ મતલબ નથી. ગુજરાતના ખેડૂતોને જે રીતે ગાળો આપવાનું અને પ્રતાડિત કરવાનું કામ ભાજપના લોકો કરી રહ્યા છે એનાથી એ સમજાય છે કે ગુજરાતના અને દેશના સામાન્ય લોકોની શું હેસિયત છે ભાજપના લોકો સામે!
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, આ અહંકાર ક્યાંથી આવે છે? આ અહંકાર ભાજપ સતત સત્તામાં રહેવાના કારણે આવે છે. આ લોકોના હાથમાં સતત સત્તા રહી છે એટલા માટે આ લોકો બેફામ બનીને ફરે છે. મારે ગુજરાતના સજ્જન સમાજના સજ્જન લોકોને પૂછવું છે કે ક્યાં સુધી આપણે આ બધું સહન કરીશું? ક્યાં સુધી આ લોકોને આપણે આપણા માથા પર બેસાડીને રાખીશું? જે લોકો બહેન દીકરીઓની ઈજ્જત નથી કરતા, જે ખેડૂતોની ઈજ્જત નથી કરતા, જે વિદ્યાર્થીઓની ઈજ્જત નથી કરતા, જે લોકો પોતાના વડીલોની પણ ઈજ્જત નથી કરતા, આવા લોકોને હવે સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. આવા લોકોને જાણી અને સમજીને હવે એક નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.




