
આમ આદમી પાર્ટીના ઓબીસી સેલના પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પિયુષ પરમારે આજે ખેડૂતોને સાથે રાખીને જુનાગઢ જિલ્લાના કલેકટરને એક આવેદનપત્ર સોંપ્યું હતું અને ત્યારબાદ તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આજે અમે કલેક્ટર સમક્ષ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે પાંચ વર્ષ પહેલા જામવાડી મુકામે ખેડૂતોએ સ્વખર્ચે પોતાની માલિકીનો પુલ બનાવ્યો હતો. ત્યારબાદ એક અરજીકર્તાએ પુલ પાડવા માટે અરજી આપી હતી. ત્યારબાદ 2022માં એક ચુકાદો આવ્યો હતો કે “આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવી” પરંતુ ’પુલ તોડી નાંખો’ એવો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યારબાદ મામલતદારે હુકમની અમલવારી કરી અને થોડું ઘણું જે પણ ડિમોલિશન કરવાનું હતું એ કર્યું. તો એ હુકમ ત્યાં સમાપ્ત થઈ ગયો પરંતુ ફરીથી ત્યાં ભગવાનજીભાઈ કરગટિયા 2022 ના હુકમને ફરિયાદ સંકલનમાં લઈ ગયા અને ત્યાં એવી રજૂઆત કરવામાં આવી કે આ પુલને તોડી નાંખવામાં આવે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે જણાવ્યું હતું કે, આ પુલ ખેડૂતોની પોતાની માલિકોનો છે અને આ પુલના કારણે આજુબાજુના એક પણ ખેડૂતને નુકસાન થયું નથી અને કોઈપણ ખેડૂત આ પુલના વિરોધમાં નથી, 29 ખેડૂતોને આવવા જવા માટેનો આ પુલ છે છતાં પણ ધારાસભ્યને આ પુલ તોડી નાખવો છે. હું એવું માનું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિ સર્વ સમાજના હોય છે પરંતુ ભગવાનજીભાઈને આ પુલ તોડીને શું મળી જવાનું છે એ મને સમજાતું નથી. હકીકતમાં ધારાસભ્યએ પુલ બનાવવાનો હોય અને ખેડૂતોને વાચા આપવાની હોય. મીડિયાના માધ્યમથી હું ભગવાનજીભાઈને ટકોર કરવા માંગુ છું કે આ ખેડૂતોનો પ્રશ્ન છે તો તમે ખેડૂતોની સાથે રહો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ.




