
ASIA English School દ્વારા શાળાના 61મા વર્ષની ઉજવણી સાથે 79મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો
અમદાવાદ, 15 ઓગસ્ટ, 2025 — ASIA English School દ્વારા ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ ગૌરવ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે શાળાની સ્થાપનાના 61મા વર્ષની ઊજવણી પણ કરવામાં આવી હતી. ભારત દેશની સાથે સાથે શાળાનો પણ વિકાસ થયો છે. શાળાની ગુણવત્તાપૂર્ણ શૈક્ષણિક સેવાઓની સાથે સાથે આ કાર્યક્રમમાં શાળાના ભવ્ય વારસાને પણ ઊજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકમંડળ, ASIA Charitable Trustના ટ્રસ્ટીઓ, મેનેજિંગ કમિટીના સભ્યો, ખાસ મહેમાનો તથા શુભેચ્છકો દેશભક્તિની ભાવના સાથે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજ વંદન અને રાષ્ટ્રગીતથી થઈ હતી. જેના દ્વારા એકતા અને શ્રદ્ધાનું વાતાવરણ સર્જાયું. ASIA Charitable Trustના ચેરમેન ડૉ. એમ. પી. ચંદ્રને પોતાના પ્રેરણાદાયી અને ઉત્સાહપ્રેરક સંબોધનમાં દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા. આ ઉપરાંત, તેમણે દરેક નાગરીકની ઈમાનદારી, આદર અને કરુણાના મૂલ્યોને જાળવવાની ફરજ પર પણ ભાર મૂક્યો. તેમણે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની બહારનું જ્ઞાન મેળવવા અપીલ કરી હતી. તેમણે શિક્ષકોને પણ વિદ્યાર્થીઓની અભ્યાસક્રમ સિવાયની જિજ્ઞાસાને સંતોષવા જણાવ્યું હતું. તેમણે સૌને તિરંગાની ભાવના હૃદયમાં જીવંત રાખવા અપીલ કરી.
પ્રિન્સિપાલ શ્રી ફ્રાન્સિસ ફર્નાન્ડીઝે બાદમાં “નવું ભારત” વિષય પર પ્રેરણાત્મક ભાષણ આપ્યું, જેમાં સૌને સમાનતા, સન્માન અને અવસરના મૂલ્યો પર આધારીત નવા ભારતના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી. શાળાના છ દાયકાના વારસાને ધ્યાનમાં રાખીને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પરિવર્તન નાનાં પણ સતત પ્રયત્નોથી શરૂ થાય છે, દરેક વિદ્યાર્થીએ રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિભર્યા ગીતો, નૃત્યો અને નાટ્યપ્રસ્તુતિઓ દ્વારા ભારતની સંસ્કૃતિ અને સંઘર્ષનું આકર્ષક પ્રદર્શન કર્યું હતું. જેને દર્શકોએ ભારોભાર તાળીઓથી સ્વીકાર્યું. કાર્યક્રમનું સમાપન આભારવિધિ, મીઠાઈ વહેંચણી સાથે થઇ હતી. અંતમાં, સૌએ સ્વતંત્રતા, એકતા તથા શ્રેષ્ઠતાના મૂલ્યો જાળવવાનો સંકલ્પ કર્યો હતો.
