
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાતના તાજેતરના બજેટ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. આ પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના તાજેતરના બજેટ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે બજેટથી સામાન્ય જનતાને મોટી અપેક્ષા હોય છે, કારણ કે ઘરેલું અર્થતંત્ર પર સરકારી બજેટનો સીધો પ્રભાવ પડે છે. અમે આ બજેટનો અભ્યાસ કર્યો અને અમને દેખાયું કે બજેટમાં સામાન્ય લોકો, ખેડૂતો, વેપારીઓ, મહિલાઓ, બેરોજગાર યુવાનો કે કોઈપણ વર્ગ માટે આ બજેટમાં કંઈ નથી. તેમણે આક્ષેપ કર્યો કે 30 વર્ષથી સત્તામાં રહેલી સરકારને ચૂંટણીનો પણ કોઈ ભય નથી કારણ કે કોંગ્રેસ ક્યારેય વિપક્ષ બનીને અવાજ ઉઠાવતી નથી અને જનતા પણ જોઈ રહી છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે.
કેજરીવાલે પંજાબનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે પંજાબમાં અમારી સરકારને માત્ર ચાર વર્ષ થયા છે અને હાલ ત્યાં દરેક પરિવારને 10 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ આપવામાં આવ્યું છે, જેના હેઠળ ગરીબ મજૂર અને ખેડૂત પણ શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે. તેમણે કહ્યું કે પંજાબમાં 24 કલાક વીજળી, ખેડૂતોને દિવસ દરમિયાન નિશ્ચિત સમયની મફત વીજળી, સુધરેલા રસ્તાઓ અને સિંચાઈ સુવિધામાં નોંધપાત્ર વધારો જેવા નિર્ણયો અમલમાં મૂકાયા છે. 2022 માં માત્ર 23 ટકા વિસ્તાર સુધી પહોંચતું સિંચાઈનું પાણી હવે 67 ટકા સુધી પહોંચાડવામાં આવ્યું છે. તેના વિપરીત, ગુજરાતમાં હજુ પણ રસ્તાઓ, શાળાઓ, આરોગ્ય વ્યવસ્થા અને ખેડૂતો માટેની સુવિધાઓમાં ગંભીર ખામીઓ હોવાનું તેમણે જણાવ્યું. તેમના મતે, સારા શાસન માટે રાજકીય ઈચ્છાશક્તિ જરૂરી છે અને જો પંજાબમાં અમારી સરકાર સારા કામ કરી શકે છે તો ગુજરાતમાં કેમ આવા કામ થતા નથી?
અંતમાં કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતની જનતા હવે ભાજપ અને કોંગ્રેસ બંનેથી નિરાશ થઈ ચૂકી છે અને પરિવર્તનની આશા સાથે આમ આદમી પાર્ટી તરફ જોઈ રહી છે. તેમણે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જેવા સામાન્ય પરિવારમાંથી આવેલા નેતાઓનો ઉલ્લેખ કરી કહ્યું કે આજે તેઓ પરિવર્તનના પ્રતીક બની રહ્યા છે અને જનતા મોટી સંખ્યામાં તેમને સાંભળવા આગળ આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતો પોતાના હકો માટે અવાજ ઉઠાવે ત્યારે તેમના પર ખોટા કેસ કરવામાં આવે છે અને તેમને જેલમાં નાંખવામાં આવે છે, જે લોકશાહી માટે ચિંતાજનક છે. આ બજેટ સરકારના અહંકાર અને જનતાના અપમાનનું પ્રતીક હોવાનું જણાવી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા તેનો યોગ્ય જવાબ આપશે.
ટ્રેડ ડીલ મુદ્દે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આપણા ખેડૂતોની ઉપજ અમેરિકામાં જશે તો તેના પર 18 ટકા ટેક્સ લાગશે અને અમેરિકાના ખેડૂતોનો સામાન ભારત આવશે તો તેના પર હવે કોઈ ટેક્સ નહીં લાગે. તેના કારણે આપણા ખેડૂતોનો સામાન અમેરિકામાં પણ નહીં વેચાય અને ભારતમાં પણ નહીં વેચાય, જેથી આપણા ખેડૂતોને નુકસાન થશે તથા આપણો એક્સપોર્ટ પણ બંધ થઈ જાય તેવી સંભાવના છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમની પાસે નરેન્દ્ર મોદીજીના એવા રાઝ છે, જો એ રાજ ખોલી નાંખે તો નરેન્દ્ર મોદીજીનું પોલિટિકલ કરિયર ખતમ થઈ શકે છે. તો અહીંયા સવાલ ઊભો થાય છે કે શું પોતાના રાઝ બચાવવા માટે આપણા આખા દેશને અમેરિકા સામે ગીરવી મૂકી દેવામાં આવ્યો છે?
ત્યારબાદ આમ આદમી પાર્ટી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે લાખો-કરોડો રૂપિયાનું બજેટ બને છે, પરંતુ તેનો યોગ્ય લાભ સામાન્ય લોકો સુધી પહોંચતો નથી. આ વખતે દેશ અને ગુજરાત બંનેનું બજેટ લગભગ એકસરખું છે, કારણ કે સામાન્ય વર્ગ માટે તેમાં કોઈ ખાસ જોગવાઈ નથી. ખેડૂતો, મહિલાઓ, ગરીબ વર્ગ, નાના વેપારીઓ અને દુકાનદારો સૌ માટે બજેટમાં કોઈ ખાસ રાહત નથી. તેમનું કહેવું હતું કે જ્યારે મજબૂત વિરોધ પક્ષ ન હોય અથવા સરકારને વિરોધની ચિંતા ન હોય, ત્યારે આવા બજેટ રજૂ થાય છે. તેમણે જણાવ્યું કે દરેક નાગરિક ટેક્સ આપે છે, ભલે તે ઇન્કમ ટેક્સ ન આપતો હોય, પરંતુ દૈનિક જીવનની દરેક વસ્તુ પર ટેક્સ છે. ગેસ, ચા, ખાંડ, દૂધ, ખાદ્ય સામગ્રી, મોબાઇલ, પેટ્રોલ, શાકભાજી અને વીજળી. તો પ્રશ્ન એ છે કે આ ટેક્સના પૈસા ક્યાં જાય છે? સામાન્ય લોકોને તેનો સીધો લાભ કેમ મળતો નથી? તેમણે ઉદાહરણ આપ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સરકાર સંભાળી ત્યારે બજેટ લગભગ 30 હજાર કરોડનું હતું, જે વધીને લગભગ 68 હજાર કરોડ થયું. 24 કલાક વીજળી, સરકારી શાળાઓમાં સુધારા, ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ આ બધું શક્ય બન્યું છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વધુમાં જણાવ્યું કે પંજાબમાં 43,000 કિમી રસ્તાઓના નિર્માણ/સુધારણા કામ ચાલી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને પાંચ વર્ષની જાળવણીની જવાબદારી સોંપવામાં આવી છે. જો રસ્તામાં ખાડો પડશે તો તેને સુધારવાનું કામ કોન્ટ્રાક્ટરે જ કરવું પડશે. જો પંજાબ પોલીસનો કોઈ જવાન ફરજ દરમિયાન શહીદ થાય તો તેના પરિવારને સરકાર અને બેન્ક એમ કુલ બે કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. પંજાબમાં 19 ટોલ પ્લાઝા બંધ કરવામાં આવ્યા છે. આગામી બજેટમાં કોઈ નવો ટેક્સ લગાવવામાં નહીં આવે, કારણ કે લોકો પહેલેથી જ ટેક્સના ભાર હેઠળ છે. શિક્ષણ ક્ષેત્રે “સ્કૂલ ઓફ એમિનેન્સ” શરૂ કરવામાં આવ્યા છે અને લગભગ દરેક વિધાનસભા વિસ્તારમાં એક એવી શાળા સ્થાપિત કરવાની યોજના છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ NEET અને JEE Main જેવી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી રહ્યા છે. શિક્ષકો અને પ્રિન્સિપાલોને સિંગાપુર અને ફિનલેન્ડમાં તાલીમ માટે મોકલવામાં આવે છે જેથી નવી શિક્ષણ પદ્ધતિઓ અપનાવી શકાય.




