
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાની મુસાફરી દરમિયાન એક ફેસબુક લાઈવ કરીને નિર્માણાધીન બ્રિજમાં જે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે એના પર કટાક્ષ કર્યો હતો. આ કટાક્ષપૂર્ણ ફેસબુક લાઈવમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હું એક રસ્તા પરથી જઈ રહ્યો છું ત્યાં એક રસ્તામાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને સરકાર ઈચ્છે છે કે કોઈની ગાડી ઠોકાઈ જાય તો લોકોને જીવ બચવો જોઈએ, તો એના માટે થઈ સરકારે પ્રયત્ન કર્યા છે કે લોકોની ગાડીને કોઈ નુકસાન ન થવું જોઈએ ભલે બ્રિજ તૂટી જાય. માટે બ્રિજ બનાવવા માટે એમણે એકદમ હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું છે. બ્રિજ બનાવવા માટે જે મટીરીયલ વપરાયું છે, તેને હાથ લગાડવાથી પણ તૂટી જાય છે. તો આ જગ્યાએ ગાડી ઠોકાય તો શું થાય તમે સમજી શકો છો કે બ્રિજ તૂટી જાય પણ ગાડી ને કંઈ ન થાય.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, લાગે છે કે લોકોની ગાડીની અને લોકોના જીવની સરકાર ચિંતા કરે છે એટલા માટે ગાડીને કોઈ નુકસાન ન થાય એ રીતનો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તો સવાલ થાય કે શા માટે હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને બ્રિજ બનાવવામાં આવે છે..? તો ધારો કે મજબૂત મટીરીયલ વાપર્યું હોત અને આપણી ગાડી બ્રિજ સાથે ઠોકાઈ જાય, ગાડીને નુકસાન થાત, પણ સરકાર લોકોનું નુકસાન થવા દેવા માગતી નથી. તો હલકી કક્ષાનું છે એનો મતલબ એવો નહીં કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે કે અહીંયા પૈસા ખવાઈ ગયા છે. અહીંયા ફક્ત લોકોને અને તેમની ગાડીઓને નુકસાન ન થાય તે માટે સરકારે એવો બ્રિજ બનાવ્યો છે કે કોઈ ઠોકાઈ જાય તો બ્રિજ તૂટી જાય કારણ કે બ્રિજ તો કરોડો રૂપિયાના ખર્ચે ફરીથી બનાવી દેવામાં આવશે પણ લોકો તો ગરીબ છે, તો એ બીજી વખત કઈ રીતે ગાડી લઈ શકશે? એટલે આપણી ગાડીની સલામતી માટે બ્રિજ બનાવવા માટે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે જે બદલ હું ભાજપ સરકારનો આભાર માનું છું.




