
૧૫ ખાનગી એરલાઇન્સ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’.અજિત પવારના પ્લેન ક્રેશ મામલે DGCA એ કરી મોટી કાર્યવાહી.ગયા મહિને ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બારામતી એરપોર્ટ પર એક ભયાનક દુર્ઘટના ઘટી હતી.મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને NCPના દિગ્ગજ નેતા અજિત પવારનું તાજેતરમાં એક વિમાન દુર્ઘટનામાં થયેલ આકસ્મિક નિધને સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હાઈ-પ્રોફાઈલ દુર્ઘટના બાદ હવે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન નિયામક(DGCA) એક્શન મોડમાં આવ્યા છે. સુરક્ષામાં રહેલી મોટી ખામીઓની આશંકાને પગલે DGCA એ દેશની ૧૫ જેટલી ખાનગી વિમાન કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે, જેને ઉડ્ડયન ક્ષેત્રની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ માનવામાં આવી રહી છે.ગયા મહિને ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બારામતી એરપોર્ટ પર એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. કેનેડિયન કંપની બોમ્બાર્ડિયર દ્વારા નિર્મિત ‘લીયરજેટ-૪૫ 45 XR’(VT-SSK) વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જાેકે, આ ઘટના બાદ DGCA દ્વારા ૨ ફેબ્રુઆરીએ જ તપાસના આદેશ અપાયા હતા, પરંતુ તેની સત્તાવાર જાણકારી હવે સામે આવી છે, જે તંત્રની કામગીરી પર પણ પ્રશ્નો ઉભા કરે છે.અજિત પવારના આકસ્મિક નિધન બાદ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચાઓ જાગી છે. આ ઘટનાને પગલે DGCA એ કડક વલણ અપનાવતા સુરક્ષા માપદંડોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવાના હેતુથી વીએસઆર વેન્ચર્સ (VSR Ventures) સહિત કુલ ૧૫ નોન-શેડ્યુલ ઓપરેટર્સ માટે વિશેષ સેફ્ટી ઓડિટના કડક આદેશો જાહેર કર્યા છે. ખાનગી વિમાનોની સુરક્ષાની વાસ્તવિકતા તપાસવા માટે આ ઓડિટ પ્રક્રિયા ૪ ફેબ્રુઆરીથી તબક્કાવાર શરૂ કરી દેવામાં આવી છે. આ તપાસમાં વીએસઆર વેન્ચર્સને ખાસ તાકીદ કરવામાં આવી છે કે તેઓએ આગામી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં પોતાનો સંપૂર્ણ સેફ્ટી ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે, જેથી ભવિષ્યમાં આવી જીવલેણ દુર્ઘટનાઓ નિવારી શકાય.




