
દેશવાસીઓને ભરોસો આપતાં રાજનાથ સિંહે કહ્યું આપણા સશસ્ત્ર દળો કોઈપણ પડકારને પહોંચી વળવા સૂસજ્જ પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે ગભરાવાની જરૂર નથી, સરકાર દરેક હિલચાલ પર નજર રાખી રહી છે : રાજનાથ સિંહ
પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે જાેડાયેલા યુદ્ધના કારણે સર્જાયેલા વૈશ્વિક તણાવ વચ્ચે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશની સુરક્ષાને લઈને અત્યંત કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વર્તમાન સુરક્ષા સ્થિતિને જાેતાં ભારતનો પડોશી દેશ કોઈપણ પ્રકારનું દુ:સાહસ કે ખોટી હરકત કરી શકે છે, પરંતુ જાે એવું થયું તો ભારતનો જવાબ અભૂતપૂર્વ અને નિર્ણાયક હશે. રાજનાથ સિંહે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, દેશની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આપણા સશસ્ત્ર દળો કોઈપણ પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. આ નિવેદન માત્ર પડોશી દેશો માટે ચેતવણી નથી, પરંતુ એ સંકેત પણ છે કે ભારત હવે દરેક ખતરાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.
દેશવાસીઓને ભરોસો આપતાં રાજનાથ સિંહે કહ્યું કે, આપણે આપણા નાગરિકોની રક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવા સક્ષમ પણ છીએ અને તૈયાર પણ છીએ. આ સાથે તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે, ગભરાવાની જરૂર નથી. સ્થિતિ ગંભીર ચોક્કસ છે પરંતુ સરકાર દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. સરકાર કડક વલણ અપનાવવાની સાથે જ જનતાનો વિશ્વાસ પણ જાળવી રાખવા માંગે છે. જાે કોઈ દુ:સાહસ કરશે તો ભારત આ વખતે તેને છોડશે નહીં. સેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે અને કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક પગલાંને સહન કરવામાં આવશે નહીં.
આ દરમિયાન દેશમાં ઊર્જા સંકટની ફેલાઈ રહેલી અફવાઓ પર પણ સંરક્ષણમંત્રીએ પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે ઊર્જા સંકટની આશંકાઓને ફગાવતાં કહ્યું કે, કેટલાક લોકો યુદ્ધના બહાને ખોટી માહિતી ફેલાવીને ડરનો માહોલ બનાવી રહ્યા છે, પરંતુ દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રસોઈ ગેસની કોઈ જ અછત નથી. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી અને ખાતરી આપી કે જરૂરી સંસાધનોનો પુરવઠો સામાન્ય છે. વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા પણ સરકારની મોટી જવાબદારી છે અને તે માટે જરૂરી યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.
અંતે પીએમ મોદીના નેતૃત્વનો ઉલ્લેખ કરતાં રાજનાથ સિંહે જણાવ્યું કે, સરકાર ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા સતત સ્થિતિની સમીક્ષા કરી રહી છે. કોઈપણ કટોકટીમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વ્યૂહનીતિ તૈયાર છે. તેમણે દેશના હિતમાં સૌને રાજનીતિથી ઉપર ઉઠીને એકજૂથ રહેવા અપીલ કરી હતી. રાજનાથ સિંહનો આ સંદેશ સ્પષ્ટ છે કે ભારત હવે કોઈ પણ ખતરાને હળવાશથી લેશે નહીં અને દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.




