
આફ્રિકાથી આવેલા ૧૧ લોકો હોમ આઇસોલેટ.અમદાવાદમાં ઇબોલા વાઈરસને પગલે એલર્ટ.તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે, હાલમાં એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી.આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો (Ebola Virus) પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું (AMC) આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા ૧૧ જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલમાં આમાંથી એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. જાેકે, સાવચેતીના પગલે હવે પછી આ ત્રણ દેશોમાંથી આવનારા તમામ મુસાફરો માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની એસવીપી (SVP) હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે અલગથી ૩૦ બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરી દેવાયો છે.
ઇબોલા વાઇરસ (EVD) ને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થઈ છે. આ જાેખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન (MOCA) દ્વારા એરપોર્ટ પર તમામ એરલાઇન્સ માટે કડક નિયમો લાગુ કરાયા છે. જેના અંતર્ગત એરપોર્ટ પર પ્રવેશતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ભરવું ફરજિયાત રહેશે. એરપોર્ટ પર ભીડ ટાળવા અને સંક્રમણનું જાેખમ ઘટાડવા માટે ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં જ પ્લેનમાં આ અંગેની જાહેરાતકરીને ફોર્મ ભરાવી લેવામાં આવશે. ઇબોલા એક અત્યંત ચેપી વાયરલ છે, જે ગંભીર રક્તસ્રાવ, હેમોરહેજિક તાવ અને અંગોને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહી, જેમ કે લોહી, લાળ અને પરસેવાના સીધા સંપર્ક દ્વારા ફેલાય શકે છે. હાલમાં, તેની કોઈ રસી કે દવા શોધાઈ નથી, જેના કારણે આ વાયરસ ખૂબ જ ઘાતક બની ગયો છે.
કોંગોની પરિસ્થિતિને જાેતાં, ભારતે નાગરિકોને આ દેશોમાં બિનજરૂરી ન જવાની સલાહ આપી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન નડ્ડાએ વર્તમાન તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
એરપોર્ટના આગમન વિસ્તારમાં ૨૪૭ ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. આગામી સમયમાં મુસાફરોની પ્રક્રિયા સરળ બનાવવા માટે મંત્રાલય દ્વારા ફરીથી એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવી શકે છે.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ કરીને આફ્રિકાના પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર વોચ વધારવામાં આવી છે. દરરોજ સાંજે ૬ વાગ્યાથી લઈને સવારે ૧૦ વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત દેશોના પેસેન્જરો માટે જ છે, સામાન્ય કે અન્ય દેશોના મુસાફરોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોંગોમાં ઇબોલાના વધતા કેસોને પગલે ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. કોંગોના ઇટુરી પ્રાંતમાં અત્યાર સુધીમાં ઇબોલાના કારણે ૮૦ લોકોના મોત થયા છે અને ૨૪૬ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ત્યાં ગત ૨૪ એપ્રિલે એક નર્સના મોત બાદ આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વખતે કોંગોમાં ઇબોલાનો બુંડીબુગ્યો સ્ટ્રેન મળ્યો છે. અગાઉ ત્યાં ઝાયર સ્ટ્રેન જાેવા મળતો હતો. ચિંતાની વાત એ છે કે ઇબોલાની હાલની મોટાભાગની રસી અને સારવાર ઝાયર સ્ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવાયા છે, જેથી આ નવો સ્ટ્રેન તબીબો માટે મોટો પડકાર બની શકે છે.
ઇબોલા વાઇરસ ડિસીઝ (EVD) સૌપ્રથમ ૧૯૭૬માં આફ્રિકાની ઇબોલા નદી નજીકના વિસ્તારમાં સામે આવ્યો હતો, જેના પરથી તેનું નામ ઇબોલા રાખવામાં આવ્યું છે. આ વાઇરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં મૃત્યુદર ૨૫% થી લઈને ૯૦% જેટલો ઊંચો હોય છે. આ બીમારી સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલટી, લાળ કે શરીરના અન્ય પ્રવાહી પદાર્થોના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગભરાય નહીં પરંતુ વિદેશ પ્રવાસથી પરત ફરતી વખતે સ્વાસ્થ્ય સંબંધી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે.



