
નૃપેન્દ્ર મિશ્રાના નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે : નૃપેન્દ્ર મિશ્રા ચંપત રાય સહિતના પ્રમુખ હોદ્દેદારો પર વધી શકે છે દબાણ અયોધ્યાના ઐતિહાસિક શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની ચોરીના મામલે એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. રામ મંદિર ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ ઘટનાને સામાન્ય ચોરી નહીં પરંતુ લૂંટ ગણાવી છે.
માધ્યમોમાં તેમના આ કડક નિવેદન બાદ રામ મંદિર ટ્રસ્ટમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર વ્યવસ્થામાં મોટા ફેરફાર તેમજ જવાબદાર હોદ્દેદારો સામે કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે.
મીડિયા સાથેની વાતચીતમાં નૃપેન્દ્ર મિશ્રાએ દાવો કર્યો છે કે, સીસીટીવી ફૂટેજમાં એવા સ્પષ્ટ પુરાવા મળ્યા છે જે ચોરીની પુષ્ટિ કરે છે. કેશ કાઉન્ટિંગ (નોટોની ગણતરી) દરમિયાન કેટલાક લોકો નોટોની થપ્પીઓમાંથી રકમ કાઢીને પોતાના ખિસ્સામાં મૂકતા કેમેરામાં કેદ થયા છે, જે વ્યવસ્થાની બહુ મોટી નિષ્ફળતા છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, અત્યારે માત્ર ૪૫ દિવસનું જ વીડિયો રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, તે પહેલાના ફૂટેજ મળી રહ્યા નથી. આ ખુલાસા બાદ મંદિરની સુરક્ષા, મોનિટરિંગ અને નાણાં ગણતરીની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં મોનિટરિંગની મોટી ચૂક સામે આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) નો અંતિમ અહેવાલ આવતાં જ ટ્રસ્ટના કેટલાક ટોચના પદાધિકારીઓની ભૂમિકાની સમીક્ષા થઈ શકે છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, અગ્રણી સભ્ય ડૉ. અનિલ મિશ્રા અને વ્યવસ્થા સંચાલન સાથે જાેડાયેલા ગોપાલ રાવ પર જવાબદારી સ્વીકારવાનું દબાણ વધી રહ્યું છે અને તેમને પદ છોડવા માટે પણ કહેવામાં આવી શકે છે.
ચઢાવા પ્રકરણમાં નામ સામે આવ્યા બાદ ટિન્નુ યાદવ નામના કર્મચારી સહિત કેટલાક સ્ટાફ મેમ્બર્સ સામે સીધા પગલાં લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જાે કે, અત્યાર સુધી ટ્રસ્ટ, એસઆઈટી કે શાસન સ્તર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
નૃપેન્દ્ર મિશ્રાએ વધુ એક સનસનાટીપૂર્ણ દાવો કરતા જણાવ્યું કે, દેશભરમાંથી આવતા લાખો ભક્તો ભાવુક થઈને રામલલાને પોતાની સોનાની વીંટી, કાનના કુંડળ, કંગન અને અન્ય કિંમતી આભૂષણો દાનપાત્રમાં અર્પણ કરી દેતા હતા. દાનપાત્રમાંથી રોકડ કાઢવા અને ગણવા માટે ૪૪ સભ્યોની ટીમ બેંકના કર્મચારીઓ અને ટ્રસ્ટના સ્ટાફ સાથે તૈનાત રહેતી હતી, તેમ છતાં દાનમાં આવેલા સોના-ચાંદીના આ દાગીનાનો કોઈ સ્પષ્ટ રેકોર્ડ કે હિસાબ-કિતાબ ચોપડે જાેવા મળતો નથી.



