
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના રામોલમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે, જેમાં આઠથી વધુ લોકોના મોત થયા છે. હું આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું, ભગવાન તમામના આત્માને શાંતિ આપે. સાથે સાથે સરકારને પણ વિનંતી કરું છું કે જે મૃતકો છે તેમના પરિવારને 50-50 લાખનું વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે સરકારને એ પણ વિનંતી કરું છું કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય છે, એમના પ્રાદેશિક અધિકારીઓ હોય છે, તો આ બધા અધિકારીઓની કામગીરીને પણ એકવાર ચેક કરવામાં આવે. ફેક્ટરીઓ અત્યારે ચાલતી હોય તે બરાબર ચાલે છે કે નહીં, તેમની પાસે યોગ્ય લાયસન્સ છે કે નહીં અને તેઓ નિયમોનું પાલન કરે છે કે નહીં એ પણ ચેક કરવામાં આવે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે જે જિંદગી હોમાઈ ગઈ છે એ પાછી નથી મળવાની પરંતુ બીજીવાર ગુજરાતમાં આવી ઘટના ન બને અને ગુજરાતમાં આપણો કોઈપણ ભાઈ, મજુર, શ્રમિક કે નોકરીયાત વ્યક્તિ કોઈની બેદરકારીના કારણે મૃત્યુ ન પામે એ જોવાની ફરજ પણ સરકારની છે. સરકાર આમાં ઊંડાણપૂર્વક તપાસ કરે અને જવાબદારો સામે કડકમાં કડક પગલાં લે. સાથે સાથે જે તે જવાબદાર અધિકારીઓ સામે પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી હું સરકારને વિનંતી કરું છું. જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ સામાન્ય પરિવારમાંથી હશે માટે 50 લાખનું વળતર એમના પરિવારને આપવામાં આવે એવી પણ હું માંગ કરું છું.




